નવસારીમાં નગરસેવિકાના પુત્ર પર યુવકનો હુમલો:માતા અને પીએમ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીનો ભૂમિતનો આક્ષેપ; ઘાયલ યુવકે રીક્ષા પાર્કિગ વિવાદની ફરિયાદ નોંધાવી
નવસારીના વોર્ડ નંબર 1 માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સ્થાનિક નગરસેવિકાના ઘર પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નગરસેવિકા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર યુવક અને નગરસેવિકાના પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. આ ઘટનામાં નગરસેવિકા જશુબેન રાઠોડ અને તેમના પુત્ર ભૂમિતને ઈજાઓ પહોંચી છે. આ મામલો હાલ જલાલપોર પોલીસ મથકે પહોંચ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારીના પૂર્ણેશ્વર વિસ્તારમાં વોર્ડ નંબર 1 ના નગરસેવિકા જશુબેન રાઠોડના ઘર બહાર સ્થાનિક યુવાન વિરેનપ્રસાદ સત્યનારાયણ શુક્લા છેલ્લા બે દિવસથી દારૂ પીધેલી હાલતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નગરસેવિકા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યો હતો અને હોબાળો મચાવતો હતો. યુવક દ્વારા સતત કરવામાં આવતા આ ન્યૂસન્સને કારણે નગરસેવિકા જશુબેન રાઠોડના પુત્ર ભૂમિતે બહાર આવીને યુવાનને શાંતિથી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, નશામાં ધૂત વિરેનપ્રસાદ શુક્લા વધુ ઉશ્કેરાઈ ગયો હતો. ત્યારબાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ ઝઘડા દરમિયાન, બંનેને છોડાવવા માટે નગરસેવિકા જશુબેન રાઠોડ વચ્ચે પડ્યા હતા. આ ઝપાઝપીમાં જશુબેનના હાથના ભાગે ઈજા પહોંચી હતી. મારામારીમાં વિરેનપ્રસાદ શુક્લાના માથાના ભાગે પણ ઈજા થઈ હતી. બંનેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે જલાલપોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નગરસેવિકા જશુબેન રાઠોડે જણાવ્યું હતું કે, "આ સ્થાનિક યુવાન કોંગ્રેસી છે અને રિક્ષા ચલાવે છે. ચૂંટણી સમયથી તે મને હેરાન કરી રહ્યો છે. મેં સ્થાનિક યુવાન હોવાથી તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાનું ટાળ્યું હતું અને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે મારી જાતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરવાનું ચાલુ રાખતો હતો. ગઈકાલે રાત્રે મારા પુત્રએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, જેમાં વાતાવરણ ઉગ્ર બનતા બંને વચ્ચે મારામારી થઈ હતી. આ મામલે હું યુવાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવીશ." શું કહે છે પોલીસ આ મામલે જલાલપોર પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ સચિન પવાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે વિરેનપ્રસાદ સત્યનારાયણ શુક્લાની ફરિયાદ લઈને નગરસેવીકાના પુત્ર ભૂમિત રાઠોડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે જોકે પોલીસ ફરિયાદમાં ક્યાં પણ વડાપ્રધાનને કે નગરસેવિકાને ગાળો આપવાનો ઉલ્લેખ નથી ફરિયાદી યુવાને લખાવ્યું છે કે રીક્ષા મુકવા બાબતે નગરસેવિકાના પુત્ર ભૂમિત દ્વારા મને માથામાં લોખંડનો પાઇપ મારવામાં આવ્યો હતો તેના આધારે ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે નગર સેવિકા તરફથી હજુ સુધી સ્થાનિક યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાય નથી.
Read Original Article →