નવસારીમાં બે બાળકોના શંકાસ્પદ મોતમાં નવો વળાંક:સુધીર જોગીએ તેની પૂર્વ પત્ની અને પ્રેમી પર હત્યાનો આરોપ લગાવ્યો, તપાસની માંગ કરી
નવસારી શહેરના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ધારાગીરી ગામે ત્રણ દિવસ પહેલા બે માસૂમ બાળકોના શંકાસ્પદ મોતનો મામલો હવે ગંભીર વળાંક લઈ રહ્યો છે. આ ઘટનામાં મૃતક બાળકોના પિતા (પૂર્વ પતિ) સુધીર જોગીએ તેમની પૂર્વ પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ હત્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે આ મામલે ન્યાયની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ સુપરત કર્યું છે. ત્રણ દિવસ પહેલા ધારાગીરી ગામે ૪ વર્ષીય કૈરવ જોગી અને 3 વર્ષીય અભિમન્યુ જોગી નામના બે માસૂમ બાળકો ઘર નજીક બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તબક્કે આ ઘટના સામાન્ય અકસ્માત કે ગૂંગળામણ હોવાનું મનાતું હતું. જોકે, મૃતક બાળકોના પિતા સુધીર જોગીએ આક્ષેપ કર્યો છે કે આ કોઈ અકસ્માત નથી, પરંતુ પૂર્વનિયોજિત કાવતરું છે. તેમણે તેમની પૂર્વ પત્ની તેજલ અને તેના પ્રેમી વસીમ શેખ પર બંને બાળકોની યોજનાપૂર્વક હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો છે. શૈલેષ જોગીના મતે, તેજલ અને વસીમે પોતાના અંગત સ્વાર્થ અને સંબંધો આડે આવતા કૈરવ અને અભિમન્યુને રસ્તામાંથી હટાવવા માટે આ કૃત્ય આચર્યું છે. આ ઘટનાને પગલે સુધીર જોગી અને તેમના પરિવારજનો નવસારી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તેમણે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આ મામલે તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ તેવી માંગ કરી છે. આવેદનપત્રમાં પીડિત પિતાએ તેમની પૂર્વ પત્ની તેજલ અને પ્રેમી વસીમ શેખ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ હત્યાનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે. તેમણે પોલીસને તાત્કાલિક બંને શંકાસ્પદ આરોપીઓની અટકાયત કરીને સઘન પૂછપરછ કરવા વિનંતી કરી છે, જેથી બાળકોના મોતના સાચા કારણો અને સમગ્ર સાજિશનો પર્દાફાશ થઈ શકે. હાલમાં પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં કેવા પગલાં લેવાય છે તેના પર સૌની નજર રહેશે.
Read Original Article →