નવસારીમાં કોંગ્રેસને મોટો ફટકો:મેન્ડેટ મોડા પડતા ગણદેવી નગરપાલિકાની 18 સહિત જિલ્લાની 32 બેઠકો ગુમાવી, ભાજપના વિજયની તૈયારી
નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જ કોંગ્રેસ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. પક્ષના સત્તાવાર મેન્ડેટ (પાર્ટી ફોર્મ) નિયત સમય મર્યાદામાં રજૂ ન કરી શકવાને કારણે જિલ્લાની કુલ 32 બેઠકો પરથી કોંગ્રેસે હાથ ધોવા પડ્યા છે. આ તમામ બેઠકો હવે સીધી રીતે ભાજપના ફાળે જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ગણદેવી નગરપાલિકામાં કોંગ્રેસ 'આઉટ'
ગણદેવી નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે કોંગ્રેસે 18 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. જોકે, ફોર્મ ભરવાના અંતિમ દિવસે શહેર કોંગ્રેસ પ્રમુખ બપોરે 3:10 કલાકે મેન્ડેટ લઈને પહોંચ્યા હતા. ચૂંટણી અધિકારીએ 3:00 વાગ્યાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવાનું જણાવી મેન્ડેટ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે, ચકાસણી દરમિયાન કોંગ્રેસના તમામ 18 ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યા છે. આ ભૂલને કારણે કોંગ્રેસે માત્ર પાલિકા જ નહીં, પરંતુ અન્ય બેઠકો પણ ગુમાવી છે: આ લોકશાહીનું દમન - કોંગ્રેસનો આક્ષેપ
બીજી તરફ, નવસારી કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે આ નિર્ણયને લોકશાહી વિરુદ્ધ ગણાવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, "અમારા પ્રતિનિધિઓ 3:10 સુધી પ્રીમાઈસીસમાં જ હતા અને ફોર્મ ભરવાની પ્રક્રિયામાં વ્યસ્ત હતા. અધિકારીએ રાજકીય દબાણ હેઠળ મેન્ડેટ સ્વીકાર્યા નથી." કોંગ્રેસે ગુજરાત એક્ટ 1950ની કલમ 33 અને જૂના કોર્ટ જજમેન્ટ્સનો હવાલો આપીને આ મામલે હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે. અપક્ષ ઉમેદવારો પણ ભાજપના સમર્થનમાં ફોર્મ ખેંચી લેશે : ભાજપ
ગણદેવી પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રાણલાલ પટેલે જણાવ્યું હતું કે, "કાયદો તેનું કામ કરે છે. કોંગ્રેસે નિયત સમયમાં મેન્ડેટ રજૂ કર્યા નથી, તેથી તેમના ફોર્મ રદ થયા છે. ભાજપ ક્યારેય કોઈ કાવાદાવા કરતું નથી, અમે હંમેશા ચૂંટણી લડવાના મૂડમાં હોઈએ છીએ. હવે ગણદેવી પાલિકા સમરસ બને તેવી અમને આશા છે." તેમણે વધુમાં ઉમેર્યું કે અપક્ષ ઉમેદવારો પણ ભાજપના સમર્થનમાં ફોર્મ ખેંચી લેશે. ગણદેવી નગરપાલિકા 'સમરસ' થવાની શક્યતા
ગણદેવી નગરપાલિકામાં હવે માત્ર ભાજપના ઉમેદવારો અને 6 અપક્ષો જ મેદાનમાં છે. આવતીકાલે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે. જો ભાજપ અપક્ષોને મનાવી લેવામાં સફળ રહેશે, તો ગણદેવી પાલિકા બિનહરીફ (સમરસ) જાહેર થશે, જે ભાજપ માટે મોટી રાજકીય જીત ગણાશે.
Read Original Article →