બોરસીમાં સરકારી જમીન પરના ઝીંગા તળાવો તોડાયા:જલાલપોર તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ સામે કડક કાર્યવાહી

Gujarat6/8/2026, 4:33:12 PM
બોરસીમાં સરકારી જમીન પરના ઝીંગા તળાવો તોડાયા:જલાલપોર તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ સામે કડક કાર્યવાહી
જલાલપોર તાલુકાના બોરસી ગામમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બનાવેલા ઝીંગા તળાવો સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટર જનમ ઠાકોર અને મામલતદાર મૃણાલ ઈસરાણીના નેતૃત્વમાં આ દબાણો દૂર કરાયા હતા. આ તળાવો બ્લોક નં. ૫૧, રી-સર્વે નં. ૫૬ની સરકારી જમીન પર વહીવટી મંજૂરી વિના બનાવવામાં આવ્યા હતા. સ્થળ પર સર્વે કામગીરી હાથ ધરી ગેરકાયદેસર દબાણોને ચિહ્નિત કરવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન મામલતદાર કચેરીની ટીમ, જિલ્લા જમીન દફતર કચેરીના સર્વેયર, બોરસી ગામના તલાટી કમ મંત્રી, નવસારીના નાયબ પર્યાવરણ ઇજનેર, ફિશરીઝ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક પોલીસ તંત્ર હાજર રહ્યા હતા. પાંચ JCB મશીનો સહિતની ભારે મશીનરીની મદદથી ત્રણ ઝીંગા તળાવો તોડી પાડી સરકારી જમીનને ગેરકાયદેસર કબજામાંથી મુક્ત કરાઈ હતી. જિલ્લા વહીવટી તંત્રે સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ સહન કરવામાં આવશે નહીં. જલાલપોર મામલતદારે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પણ આવી ઝુંબેશ વધુ સઘન રીતે ચાલુ રહેશે અને કાયદાનો ભંગ કરનારાઓ સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરાશે.
Read Original Article →