વાણિજ્ય સંસદીય સમિતિએ નર્મદાની મુલાકાત લીધી:સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમનું નિરીક્ષણ કર્યું
વાણિજ્ય વિભાગની સંસદીય સ્થાયી સમિતિના સભ્યોએ ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. આ સમિતિ ડોલા સેનની અધ્યક્ષતામાં હતી. સમિતિના સભ્યોમાં સાંસદ બિસ્વજીત સિન્હા, સાંસદ અતુલ ગર્ગ, સાંસદ અનિતા શુભ્રદાશીની અને નાયબ સચિવ રોઝી શેઈલો દામોદરનો સમાવેશ થાય છે. તેમણે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો અને પર્યટન સુવિધાઓ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચીને કમિટીના સભ્યોએ સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સરદાર સાહેબના યોગદાનને યાદ કર્યું હતું. ત્યારબાદ સભ્યોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરીની મુલાકાત લીધી હતી. અહીંથી તેમણે નર્મદા નદી, સાતપુડા અને વિંધ્યાચળની પર્વતમાળાઓ તેમજ સરદાર સરોવર નર્મદા ડેમના દૃશ્યોનું અવલોકન કર્યું હતું. કમિટીના સભ્યોએ સરદાર સરોવર નર્મદા ડેમની પણ મુલાકાત લીધી હતી. તેમણે ડેમની વિશાળતા, જળસંગ્રહ ક્ષમતા, પીવાના પાણી અને સિંચાઈ માટે તેની ઉપયોગિતા તેમજ નર્મદા યોજનાના વિકાસલક્ષી પ્રભાવ અંગે માહિતી મેળવી હતી. અધિકારીઓએ ડેમના સંચાલન, જળવ્યવસ્થાપન અને પ્રદેશના આર્થિક-સામાજિક વિકાસમાં તેની ભૂમિકા વિશે માર્ગદર્શન આપ્યું હતું. પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ એકતાનગર ખાતે વિકસાવવામાં આવેલી વિશ્વસ્તરીય પર્યટન સુવિધાઓ અને વિકાસ કાર્યોની પ્રશંસા કરી હતી. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમને રાષ્ટ્રીય ગૌરવના પ્રતિકો ગણાવી દેશના વિકાસ અને એકતાના સંદેશને મજબૂત બનાવતા પ્રકલ્પો તરીકે બિરદાવ્યા હતા. આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણીયા, નાયબ કલેક્ટર પ્રિતેશ પટેલ અને અભિષેક સિન્હા સહિત જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કમિટીના સભ્યોને વિવિધ સુવિધાઓ, પર્યટન વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને વિસ્તારના સર્વાંગી વિકાસ અંગે માહિતગાર કર્યા હતા.
Read Original Article →