મનસુખ વસાવાની મહુડાનો દારૂ બનાવી પીવાની સલાહ:વીડિયો વાયરલ કરવા કહ્યું; કેમિકલવાળા દારૂ સામે રોષ વ્યક્ત કર્યો, નિવેદનથી વિવાદ છેડાયો
નર્મદા જિલ્લાના આદિવાસી સમાજને પ્રગતિના પંથે લઈ જવા 'આદર્શ ગ્રામ વિકાસ સમિતિ'ની રચના કરવામાં આવી છે. આ સમિતિની પ્રથમ બેઠક ભરૂચના સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં નાંદોદ તાલુકાના ઢોલાર ગામે યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે તેમણે મંચ પરથી સંબોધનમાં દારૂ બનાવીને પીવાના આડકતરી સલાહ આપતા વિવાદ છેડાયો છે. આ વાતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવા પણ તેમણે કહ્યું હતું. મહુડાના દારૂ પીવાની સલાહથી વિવાદ
પોતાના સંબોધનમાં સાંસદે આદિવાસી વિસ્તારોમાં કેમિકલયુક્ત દારૂ ઘુસાડતા બૂટલેગરો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે મોટા કન્ટેનરો દ્વારા બહારથી ઝેરી દારૂ લાવીને આદિવાસી યુવાનોને બરબાદ કરવામાં આવી રહ્યા છે. જોકે, આ દરમિયાન તેમણે સ્થાનિકોને કેમિકલવાળા દારૂના બદલે ઘરે જ મહુડાનો પરંપરાગત દેશી દારૂ બનાવીને પીવાની વિવાદાસ્પદ સલાહ આપી દીધી હતી, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. યુવાઓ બિરસા મુંડાના આદર્શ ભૂલ્યા
તેમણે યુવાનોને ટકોર કરતા ઉમેર્યું કે, આપણે માત્ર ભગવાન બિરસા મુંડાના નારા લગાવીએ છીએ, પરંતુ તેમના સંઘર્ષના આદર્શોને ભૂલી રહ્યા છીએ. આજનો યુવાન તીર-કામઠાને બદલે દારૂની બોટલો તરફ વળ્યો છે તે ચિંતાજનક છે. ઉદ્યોગોમાં પૂરતી નોકરીઓ ઉપલબ્ધ છે, યુવાનો સારું શિક્ષણ મેળવી લાયક બને તો તેમને રોજગારી અપાવવાની જવાબદારી મારી રહેશે. સમિતિના મુખ્ય ઉદ્દેશો સરકારી યોજનાઓનો લાભ લેવા સાંસદની અપીલ
બેઠક દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, સરકારે આદિવાસી સમાજના કલ્યાણ માટે જન્મથી લઈને મૃત્યુ સુધીની અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, પાકા રસ્તા, પીવાનું પાણી અને કુપોષણ નિવારણ માટે વહીવટીતંત્ર સતત કાર્યરત છે. સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ અને વિદેશ અભ્યાસ માટે પણ સહાય આપવામાં આવી રહી છે, ત્યારે યુવાનોએ આ તકોનો લાભ લઈ શિક્ષણ ક્ષેત્રે આગળ વધવું જોઈએ. વિપક્ષ પર આકરા પ્રહારો
સોશિયલ મીડિયા પર સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવતા વિપક્ષી નેતાઓ પર પ્રહારો કરતા વસાવાએ જણાવ્યું હતું કે, વિરોધ કરનારાઓને રાજકારણના મૂળભૂત સિદ્ધાંતોની પણ ખબર નથી. વિપક્ષી નેતાઓ માત્ર આદિવાસી યુવાનો અને મહિલાઓને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. ભાજપ સરકારે આદિવાસી વિસ્તારોમાં કરેલા વિકાસકાર્યોની વિરોધીઓને કોઈ જાણકારી નથી. બેઠકમાં કોણ-કોણ હાજર રહ્યું?
આ બેઠકમાં નર્મદા શુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ, કબીર સંપ્રદાયના સંત સ્વરૂપદાસ, દિનેશ દેસાઈ, અનિરુદ્ધસિંહ ગોહિલ, હિતેશ વસાવા, શંકર વસાવા, ડો. રવિ વસાવા અને જયંતી વસાવા સહિત ડેડીયાપાડા, તિલકવાડા અને ગરુડેશ્વરથી મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા.
Read Original Article →