નર્મદામાં આશા વર્કરોની ઉગ્ર રજૂઆત:પડતર માંગણીઓ ન સંતોષાતા ગાંધીનગરમાં આમરણાંત ઉપવાસની ચીમકી
નર્મદા અને તાપી જિલ્લાની ૫૦થી વધુ આશા વર્કર બહેનોએ રાજપીપળા જિલ્લા પંચાયત ભવન ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. કોરોના કાળમાં જીવના જોખમે કામગીરી કરવા છતાં અને વધતી મોંઘવારી વચ્ચે યોગ્ય વળતર ન મળતા, તેમણે પોતાની પડતર માંગણીઓ સત્વરે ઉકેલવા માંગ કરી છે. માંગણીઓ ન સંતોષાતા ગાંધીનગરમાં આમરણાંત ઉપવાસની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સાગબારા, ડેડીયાપાડા અને તાપી જિલ્લાની આ આશા વર્કર બહેનોએ જિલ્લા આરોગ્ય અધિકારીની ગેરહાજરીમાં ડો. ઝંખનાબેનને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમણે જણાવ્યું કે તેમની ધીરજ હવે ખૂટી ગઈ છે. આશા વર્કર બહેનોની મુખ્ય માંગણીઓમાં વર્ષ 2020 થી 2022 દરમિયાન અને 24-25 સુધીના મહિનાઓ માટે કોરોના વેક્સિનેશન જેવી જોખમી કામગીરી માટે સરકારે મંજૂર કરેલું ઇન્સેન્ટિવ હજુ સુધી ચૂકવાયું નથી. આ ઉપરાંત, આગામી માર્ચ 25-26 થી પગારમાં 25% થી 50% (આશરે 25,000 રૂપિયા) નો વધારો કરવાની માંગ કરવામાં આવી છે. હાલમાં મહિનાના 4 શનિવારે ફરજિયાત PHC મુલાકાત લેવાની હોય છે. પેટ્રોલ અને ભાડાના ભાવવધારા વચ્ચે સરકાર માત્ર 175 રૂપિયા ચૂકવે છે, જે પરવડે તેમ નથી. આથી, 4 શનિવારના બદલે મહિનામાં માત્ર 1 શનિવાર નક્કી કરવાની માંગ કરાઈ છે. વર્ષ 2024 થી સરકારે જોખમી ડિલિવરીના પૈસા આપવાનું નક્કી કર્યું છે, પરંતુ મોટાભાગના જિલ્લાઓમાં આશા બહેનોને આ રકમ હજુ સુધી ચૂકવાઈ નથી. ઓલ ગુજરાત આશા વર્કર સશક્ત સંગઠનના પ્રમુખ હંસાબેન આર. ગામિતે સરકારને ચીમકી આપતા જણાવ્યું કે આશા વર્કર બહેનો ઉપર સતત કામનું ભારણ વધારવામાં આવી રહ્યું છે છતાં સમયસર નાણાં મળતા નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે, "જો આગામી ૩૦ જુલાઈ ૨૦૨૬ સુધીમાં અમારા તમામ પેન્ડિંગ ઇન્સેન્ટિવ અને માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે, તો અમે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આમરણાંત ઉપવાસ અને ઉગ્ર ધરણા પર બેસીશું." સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે સત્વરે કોઈ નક્કર પગલાં લેવામાં નહિ આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
Read Original Article →