અત્યાર સુધી રાજ્યમાં ઝેરી દારૂથી 436 નાગરિકોના મોત:મિથેનોલ બનાવતી 837 જેટલી કંપનીમાં પંદર દિવસમાં એફડીએ દ્વારા તપાસ કરાશે
તાજેતરમાં પુણે ખાતે થયેલા લઠ્ઠાકાંડમાં 24 જણના મૃત્યુ થયા હતા. આ ઝેરી દારૂમાં મિથેનોલ વપરાય છે. અન્ન અને ઔષધ પ્રશાસન નવા નિયુક્ત કમિશનર તુકારામ મુંઢેએ હવે મિથેનોલ ઉત્પાદન કરતી કંપનીઓ તરફ પોતાનો મોરચો વાળ્યો છે. મિથેનોલનું વેચાણ હાથભઠ્ઠીઓમાં આખા રાજ્યમાં બેરોકટોક થઈ રહ્યું હોવાથી મુંઢેએ હવે મિથેનોલ ઉત્પાદન કરતી કંપનીઓની તપાસની શરૂઆત કરી હોવાથી આ કંપનીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. દારૂમાં ઈથેનોલ હોય છે જે જીવન માટે ખાસ હાનીકારક નથી. મિથેનોલ અને ઈથેનોલ સરખા જ દેખાય છે. મિથેનોલ ઝેરી રસાયણ છે જે દવા, રંગ, સૌંદર્ય પ્રસાધન, રોકેટ ઈઁધણ વગેરે માટે વપરાય છે. મહારાષ્ટ્રમાં મિથેનોલનું ઉત્પાદન કરતી 837 કંપનીઓ છે. મહારાષ્ટ્ર વિષ કાયદો 1972 અનુસાર મિથેનોલનું સ્ટોરેજ, વેચાણ સંદર્ભે એસઓપી છે. જો કે એને કોરાણે મૂકીને રાજ્યમાં મિથેનોલનું બેરોકટોક ઓનલાઈન વેચાણ થાય છે. મિથેનોલનું નિયંત્રણ એફડીએના હાથમાં છે. હાથભઠ્ઠીનું નિયંત્રણ ઉત્પાદન શુલ્ક વિભાગ પાસે છે. મિથેનોલમાં રંગ અને કડવાશ ભળે એ માટે 1993થી પાર્થસારથી સમિતીએ ભલામણ કરી છે. 2011માં આ સંદર્ભે અધિસૂચના જારી થઈ. જો કે કેમિકલ કંપનીઓએ મુંબઈ હાઈ કોર્ટમાંથી એના પર સ્ટે મેળવ્યો. 2019માં આ સંદર્ભે ચુકાદો આવ્યો અને મુંબઈ હાઈ કોર્ટે રંગીન મિથેનોલ વેચાણનો આદેશ આપ્યો. જો કે કંપનીઓએ 2019માં સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો અને મુંબઈ હાઈ કોર્ટના ચુકાદા પર સ્ટે મેળવ્યો. પુણે લઠ્ઠાકાંડ દુર્ઘટના પછી મિથેનોલનો વિવાદ ફરીથી સપાટી પર આવ્યો છે. તેથી તુકારામ મુંઢેએ મિથેનોલ ઉત્પાદક કંપનીઓ મિથેનોલનો સ્ટોક અને વેચાણની એસઓપી પાળે છે કે નહીં એની તપાસ કરવાની શરૂઆત કરી છે. મિથેનોલ ઉત્પાદક કંપનીઓનું ટર્નઓવર ઘણું છે. આ કંપનીઓ મિથેનોલ એક્સપોર્ટ પણ કરે છે. મુંઢેએ તપાસ શરૂ કરી હોવાથી કંપનીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. રાજ્યમાં મહારાષ્ટ્ર વિષ કાયદો 1972 છે. એ અનુસાર મિથેનોલનું વેચાણ કરવાની એસઓપી છે. એની સખતાઈથી અમલબજાવણી થવી જોઈએ. રાજ્યમાં મિથેનોલ બનાવતી 837 કંપનીઓ છે. એ બધાની એફડીએના ઈન્સ્પેક્ટર આગામી પંદર દિવસમાં તપાસ કરશે. જે પ્રકરણમાં અનિયમિતતા જણાશે તેમના લાયસંસ સસપેન્ડ કરવામાં આવશે એમ મુંઢેએ સ્પષ્ટ કર્યું છે. મિથેનોલ વેચાણની એસઓપી
મિથેનોલ ઉત્પાદન માટે લાયસંસ અનિવાર્ય છે. દર વર્ષે એનું નૂતનીકરણ કરવું જરૂરી છે. મિથેનોલ વેચાણ બી.ફાર્મ, ડી.ફાર્મ ડિગ્રીવાળા પ્રતિનિધિ દ્વારા કરી શકાય છે. મિથેનોલ ખરીદીનું લાયસંસ જેની પાસે છે તેઓ વેચાણ કરી શકે છે. એક વ્યક્તિને ચોક્કસ પ્રમાણ કરતા વધારે મિથેનોલ વેચી શકાતું નથી. વેચાણનું રજિસ્ટર ઉત્પાદક કંપનીઓએ રાખવું ફરજિયાત છે. મિથેનોલ વેચાણ, લાયસંસ, ખરીદી ઓર્ડરની નોંધ બે વર્ષ સુધી સંભાળી રાખવી ફરજિયાત છે. મિથેનોલના કારણે થયેલી દુર્ઘટનાઓ
1968માં રાયગડ જિલ્લાના ખપોલીમાં 90 કરતા વધારેનો ભોગ લેવાયો. 1991માં મુંબઈના તારદેવ ખાતે આવેલા છાયા બાર દુર્ઘટનામાં 91 જણના મૃત્યુ થયા. 2004માં મુંબઈમાં સાત વિક્રોલી સાત રસ્તા દુર્ઘટનામાં 104ના મૃત્યુ થયા. 2009માં રાયગડ જિલ્લાના પાલી ખાતે થયેલી દુર્ઘટનામાં 10 જણ મૃત્યુ પામ્યા. 2015માં મુંબઈના માલવણી ખાતેની દુર્ઘટનામાં 104ના મૃત્યુ થયા. 2017માં અહમદનગર જિલ્લાના પાંગરમલ ખાતેની દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા. 2026માં પુણે શહેરમાં થયેલા દુર્ઘટનામાં 24 જણનો ભોગ લેવાયો.
Read Original Article →