LCBએ 29 હજાર લિટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપ્યો:વાંકાનેરના ભલગામ પાસે ગેરકાયદે ટ્રકોમાં ઇંધણ તરીકે વેચાતું, ₹48.33 લાખનો મુદ્દામાલ જપ્ત, 5ની ધરપકડ
વાંકાનેર તાલુકાના ભલગામ નજીકથી ગેરકાયદેસર જ્વલંતશીલ પ્રવાહીનો મોટો જથ્થો ઝડપાયો છે. એલસીબી અને સ્થાનિક પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને 29,000 લિટર પ્રવાહી અને અન્ય મુદ્દામાલ સહિત કુલ 48.33 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. મોરબી જિલ્લા એલસીબીને માહિતી મળી હતી કે ભલગામની સીમમાં આવેલી માલકીયા હોટલ નજીક એમ.એચ. એન્ટરપ્રાઇઝમાં ગેરકાયદેસર રીતે જ્વલંતશીલ પ્રવાહીનો સંગ્રહ કરીને બહારથી આવતા ટ્રકોમાં ઇંધણ તરીકે ભરવામાં આવે છે. આ બાતમીના આધારે એલસીબી પીઆઇ એમ.પી. પંડયાની સૂચના મુજબ વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડા, એલસીબી અને વાંકાનેર તાલુકા પોલીસની ટીમે સંયુક્ત દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી 29,000 લિટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત 23.20 લાખ રૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત, 25 લાખ રૂપિયાની કિંમતનું ટેન્કર (નંબર GJ 12 AZ 9781), પાઈપ, ઇલેક્ટ્રિક મોટર અને બે મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આમ, પોલીસે કુલ 48,33,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે સ્થળ પરથી અજીતસિંહ નવઘણસિંહ જાડેજા (રહે. કનકનગર સોસાયટી, રાજકોટ), રવિ દાદ ધાધલ (રહે. નવાગામ, રાજકોટ), નરેન્દ્ર પ્રવીણચંદ્ર જોશી (રહે. નવાગામ, રાજકોટ), નયન મોહન મકવાણા (રહે. નવાગામ, રાજકોટ) અને નયન વિજય વાળા (રહે. નવાગામ, રાજકોટ) એમ પાંચ શખ્સોને પકડી પાડ્યા હતા. તેમની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Read Original Article →