15 જૂને ગાંધીનગરમાં ખેડૂતો વિશાળ ટ્રેક્ટર રેલી યોજશે:લાલજી દેસાઈએ કહ્યું-સરકારને ખબર પડશે બધાનો ચાળો કરાય, ખેડૂત-પશુપાલકોના નહીં; ટંકારામાં વીજકંપનીઓ સામે હુંકાર
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના જબલપુર ગામે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ તથા ગુજરાત કિસાન કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં ખેડૂતોની એક મહત્વની સભા યોજાઈ હતી. ખાનગી કંપની દ્વારા નાખવામાં આવી રહેલી હેવી વીજ લાઈન અને તેના પોલ (થાંભલા) માટે ખેડૂતોને અપાતા વળતર અંગે કોઈ સ્પષ્ટતા ન કરાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. બેઠકમાં ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે, પૂરતું વળતર આપ્યા વગર કંપનીના કોઈ પણ માણસને ખેતરમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. ત્યારે 15 જૂને ગાંધીનગરમાં ખેડૂતો વિશાળ ટ્રેક્ટર રેલી યોજશે. લાલજી દેસાઈએ કહ્યું હતું કે, સરકારને ખબર પડશે, બધાનો ચાળો કરાય પરંતુ ખેડૂત-પશુપાલકોના નહીં. પોલીસ જેનું રક્ષણ કરવાનં હોય એને ઢસડીને લઈ
ગુજરાત કિસાન સેવાદળના પ્રમુખ લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે, જ્યારે આપણી દીકરીઓ, યુવાનો, ખેડૂતો અને વૃદ્ધો પોતાના ખેતરને બચાવવા માટે આજીજી કરે, કરગરે અને પોલીસ તેમને ઢસડીને લઈ જાય, ત્યારે મોટો સવાલ ઊભો થાય છે. જે પોલીસના યુનિફોર્મ, ટોપી, બૂટ અને ઘરના રોટલા ખેડૂતો, ખેત મજૂરો, પશુપાલકો અને આમ જનતાની પરસેવાની કમાણીમાંથી આવે છે, તે જ પોલીસ આજે જનતાનું રક્ષણ કરવાના બદલે ભક્ષણ કરી રહી છે અને માત્ર ઉદ્યોગપતિઓની ચાટુકારી કરતી હોય તેવું દેખાઈ રહ્યું છે. સરકારે ઝૂકવું જ પડશે,લોકશાહીમાં જનતા સર્વોપરી
સૌથી મોટો સવાલ એ છે કે શું સરકાર માનશે? એવા સવાલ સાથે દેસાઈએ ઉમેર્યુ હતું કે, અમે બહુ સ્પષ્ટ માનીએ છીએ કે સરકારે નમવું જ પડશે, કારણ કે લોકશાહીમાં અંતે જનતા જ સર્વોપરી છે. અગાઉ માંડલ-બેચરાજી SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન) આંદોલનમાં પણ જનતાની જીત થઈ હતી અને સરકારે ઝૂકવું પડ્યું હતું. આ લડાઈમાં પણ સરકારે ઝૂકવું જ પડશે. 15 જૂને જ્યારે હજારો ટ્રેક્ટરો રસ્તા પર ઉતરશે, ત્યારે સરકારને ભાન થઈ જશે કે બધા સાથે રમત કરાય, પણ ખેડૂતો અને પશુપાલકો સાથે નહીં. કંપનીઓ યોગ્ય વળતર નથી આપતી
સ્થાનિક ખેડૂત આગેવાન જીતુ પટેલએ જણાવ્યું હતું કે,અત્યારે તમે જુઓ તો સાવડી, સરાયા, ટંકારા, ટોળ અને અમરાપર સહિત આખેઆખા ટંકારા તાલુકાના વીસેક ગામના ખેડૂતો અને મહિલાઓ મોટી સંખ્યામાં આજે આ કાર્યક્રમમાં આવ્યા છે. કંપનીઓ ખેડૂતોના ખેતરોમાં હેવી વીજ લાઈન નાખે છે, પરંતુ તેનું યોગ્ય વળતર આપતી નથી. આજે અમારે સરકાર, તંત્ર અને કંપની સામે આંદોલન એટલા માટે કરવું પડે છે કારણ કે તંત્ર અને સરકાર ખેડૂતોને સપોર્ટ આપવાને બદલે કંપનીને સપોર્ટ કરી રહ્યા છે. ખેડૂતોનો પક્ષ લેવાવાળું કોઈ નથી, એટલે જ આજે અમારે આંદોલન કરવાનો વારો આવ્યો છે. 4 મહિનાથી કામગીરી બંધ, 20 ગામના ખેડૂતો એકજૂથ
મોરબી જિલ્લાના 5 તાલુકાઓમાંથી જુદી જુદી ખાનગી વીજ કંપનીઓની હેવી ટ્રાન્સમિશન લાઈનો પસાર થઈ રહી છે. જે અંતર્ગત હળવદ ટ્રાન્સમિશન લાઈન વાંકાનેરથી ટંકારા થઈને જામનગર તરફ જવાની છે. આ કામગીરી માટે વાંકાનેર અને ટંકારા તાલુકાના ખેડૂતોને નોટિસો આપવામાં આવી હતી, પરંતુ વળતર અંગે કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી. વળતર મુદ્દે સ્પષ્ટતા વગર કામ કરવાની તજવીજ
કંપની દ્વારા વળતરની સ્પષ્ટતા વિના જ કામ શરૂ કરવાની ગતિવિધિઓ તેજ કરાતા ખેડૂતોએ અગાઉ ટ્રેક્ટર રેલી યોજીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો, જેના કારણે છેલ્લા 4 મહિનાથી ખાનગી કંપનીનું કામ બંધ છે. વીજ કંપનીઓની કથિત તાનાશાહી સામે રણનીતિ ઘડવા માટે જબલપુર ગામે સાવડી, સરાયા, ઓટાળા, જબલપુર અને ટંકારા સહિત અંદાજે 20 જેટલા ગામોના ખેડૂતો અને મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. 15 જૂને ગાંધીનગર ખાતે ટ્રેક્ટર રેલીનું આયોજન
ખેડૂત આગેવાનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જ્યાં સુધી ખેડૂતોને યોગ્ય અને પૂરતું વળતર નહીં મળે, ત્યાં સુધી ખેતરોમાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવા દેવાશે નહીં. આ ઉપરાંત, આગામી 15 જૂનના રોજ ગાંધીનગર ખાતે ખેડૂતોની વિશાળ ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ટંકારા તાલુકામાંથી વધુમાં વધુ ખેડૂતો પોતાના ટ્રેક્ટરો સાથે ગાંધીનગર પહોંચે તે માટે આગેવાનો દ્વારા હાકલ કરવામાં આવી છે. બેઠકમાં ઉપસ્થિત આગેવાનો
આ બેઠકમાં પાલ આંબલીયા, લાલજી દેસાઈ, મહેશ રાજકોટિયા, મનોજ પનારા, મુકેશ ગામી, કે.ડી. પડસુંબીયા, સતિષ મેરજા સહિતના સ્થાનિક કિસાન આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →