મોરબીમાં યુવાનની હત્યા:સમાધાન માટે બોલાવીને હત્યા કરનાર આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર
મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે સમાધાન માટે બોલાવીને યુવાન અબ્બાસ સોતાની હત્યા કરવાના ગુનામાં પકડાયેલા બંને આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઘટનામાં માળીયા (મી)ના નવી નવલખી ગામના ૨૯ વર્ષીય યુવાન અબ્બાસ સોતાનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક વિગતો અનુસાર, નવી નવલખી ગામે રહેતા અબ્બાસ સોતાએ આસિફ દલની બહેનને મેસેજ કર્યો હતો. આ બાબતે સમાધાન કરવા માટે આસિફ દલ અને તેના પતિ દ્વારા અબ્બાસને પીપળીયા ચાર રસ્તા પાસે આવેલા કોલસાના ડેલા નજીક બોલાવવામાં આવ્યો હતો. અબ્બાસ તેના બે ભાઈઓ સાથે સમાધાન માટે ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યાં આસિફ ઇલ્યાસભાઇ દલે છરી જેવા હથિયાર વડે અબ્બાસ પર હુમલો કર્યો હતો, જ્યારે હુસેન ઇબ્રાહીમ સાઈચાએ લોખંડના પાઇપ વડે અબ્બાસના બંને ભાઈઓને માર માર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા અબ્બાસ સોતાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક અબ્બાસના ભાઈ હસનભાઈ અબ્દુલભાઈ સોતા (૩૦)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આસિફ ઇલ્યાસભાઇ દલ અને હુસેન ઇબ્રાહીમ સાઈચા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરી હતી, જેને પગલે કોર્ટે બંને આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. એલસીબીની ટીમ હવે આરોપીઓના કપડાં અને હત્યા કરીને નાસી જવા માટે ઉપયોગમાં લેવાયેલી બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કરવા માટે વધુ તપાસ હાથ ધરી રહી છે.
Read Original Article →