મોરબીના રવાપર રોડ પર દબાણ હટાવાયું:ધીમા રોડ કામ અને ટ્રાફિક સમસ્યાને કારણે તંત્ર એક્શનમાં
મોરબીના રવાપર-ઘુનડા રોડ પર લાંબા સમયથી ધીમી ગતિએ ચાલતા નવા રોડના કામને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે તંત્ર દ્વારા મોડી રાત્રે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં 8 જૂનથી શાળાઓ શરૂ થતી હોવાથી ટ્રાફિકની સ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે આ પગલું લેવાયું છે. રવાપર વિસ્તારના સ્થાનિકોએ ટ્રાફિક સમસ્યા અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ કરી હતી અને આ મુદ્દે બેઠકો પણ યોજી હતી. સ્થાનિકોએ કાઉન્સિલરો સમક્ષ રજૂઆત કર્યા બાદ આ મામલો તંત્ર સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે મંત્રીની હાજરીમાં મહાનગરપાલિકાના હોદ્દેદારો, કાઉન્સિલરો અને અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રિ-મોન્સૂન કામગીરી અને રવાપર રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. મોડી રાત્રે આર એન્ડ બી વિભાગના અધિકારી હિતેશ આદ્રોજા સહિતની ટીમે સ્થળ પર પહોંચી બે JCB મશીનોની મદદથી રોડ પર નડતરરૂપ બોર્ડ, થાંભલા અને અન્ય દબાણો દૂર કર્યા હતા.
Read Original Article →