મોરબીના જેતપર ગામે ક્રિકેટ રમતા યુવાનનું નિધન:36 વર્ષીય પિયુષ અમૃતિયાનું હાર્ટ એટેકથી મોત
મોરબીના જેતપર ગામે ક્રિકેટ રમતી વખતે 36 વર્ષીય યુવાન પિયુષભાઈ પ્રાણજીવનભાઈ અમૃતિયાનું હાર્ટ એટેકથી નિધન થયું છે. આ ઘટનાથી પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પિયુષભાઈ અમૃતિયા જેતપર ગામે આવેલી જાકાસણીયા સ્કૂલના ગ્રાઉન્ડમાં તેમના મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યા હતા. તે દરમિયાન તેમને અચાનક હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો. હુમલો આવતા જ તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે મોરબી લઈ જવામાં આવી રહ્યા હતા. રસ્તામાં જ તેમને હાર્ટ એટેકનો બીજો અને વધુ તીવ્ર હુમલો આવ્યો, જેના કારણે તેમનું અવસાન થયું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા, પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક પિયુષભાઈ અમૃતિયા સિરામિક રો મટીરીયલનો વ્યવસાય કરતા હતા. તેમને સંતાનમાં બે દીકરીઓ છે, જેમણે પિતાની છત્રછાયા ગુમાવી છે.
Read Original Article →