મોરબીમાં મેગા જોબ ફેર યોજાયો:કાંતિ અમૃતિયાએ કહ્યું- સરકાર યુવાનોને માત્ર ઘરઆંગણે જ નહીં, વિદેશમાં પણ આગળ વધવાની તક પૂરી પાડે છે
મોરબીમાં રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મેગા જોબ ફેર યોજાયો હતો. આ કાર્યક્રમ વેજીટેબલ રોડ પર આવેલા પંચમુખી હનુમાન મંદિર ખાતે આયોજિત કરાયો હતો. જેમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા અને રાજ્યસભા સાંસદ પરસોતમભાઈ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. આ જોબ ફેરમાં મોટી સંખ્યામાં નોકરીવાંચ્છુક યુવાનો ઉમટી પડ્યા હતા. મોરબી મહાનગરપાલિકા, સુપ્રસિદ્ધ ઔદ્યોગિક ગૃહો અને નામાંકિત કંપનીઓના સહયોગથી આયોજિત આ મેગા જોબ ફેરમાં વિવિધ ક્ષેત્રોની કંપનીઓએ સ્ટોલ લગાવી સ્થળ પર જ ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી. ટેકનિકલ, નોન-ટેકનિકલ તેમજ અગ્નિવીર તાલીમ પૂર્ણ કરેલા યુવાનો માટે પણ વિશેષ તકો ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોરબી મહાનગરપાલિકામાં હંગામી ધોરણે કોન્ટ્રાક્ટ બેઝ પર નિયુક્ત કરાયેલા કર્મચારીઓને નિમણૂક પત્રો એનાયત કરાયા હતા. રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા, રાજ્યસભા સાંસદ પરસોતમભાઈ રૂપાલા અને વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહિતના મહાનુભાવોના હસ્તે આ પત્રો અપાયા હતા. મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, સરકાર યુવાનોને માત્ર ઘરઆંગણે જ નહીં, પરંતુ વિદેશમાં પણ તેમની કૌશલ્યતાના આધારે આગળ વધવાની તક પૂરી પાડે છે. તેમણે વધુમાં ઉલ્લેખ કર્યો કે મોરબી જિલ્લાને ભારત સરકાર દ્વારા આદર્શ આઈ.ટી.આઈ.માં સ્થાન મળ્યું છે. વિશ્વમાં બીજા નંબરના ટાઇલ્સ ઉત્પાદક તરીકે મોરબી શહેર "સિરામિક સિટી" તરીકે વૈશ્વિક બજારમાં આગવી ઓળખ ધરાવે છે અને રોજગાર પ્રદાનમાં પણ અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. આ કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકાના કમિશનર, પ્રમુખ, ઉપપ્રમુખ, પ્રાંત અધિકારી, રોજગાર અધિકારી સહિતના અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →