મોરબીમાં સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઈ:મેયરે નગરજનોને સ્વચ્છતા જાળવવા અપીલ કરી
મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાગૃતિ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મેયર ઉત્તમભાઈ સુરાણીએ આ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં નગરજનોને શહેરને સ્વચ્છ રાખવા સહકાર આપવા અપીલ કરાઈ હતી. આ રેલી મહાનગરપાલિકા કચેરીના પટાંગણમાંથી શરૂ થઈ હતી અને શનાળા રોડ પર આવેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી. રેલીના સમાપન સમયે મોરબીને સ્વચ્છ રાખવા માટેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. આ રેલીમાં મહાનગરપાલિકાના પદાધિકારીઓ, ચૂંટાયેલા સભ્યો, કર્મચારીઓ અને શાળાના વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો જોડાયા હતા. સૌએ મોરબીને સ્વચ્છ રાખવા માટે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગે મેયર ઉત્તમભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્વચ્છતાને પ્રાધાન્ય આપે છે. મોરબી શહેર સ્વચ્છ, સુંદર અને રળિયામણું બને તે માટે મહાનગરપાલિકાની ટીમ કાર્યરત છે. તેમણે નગરજનોને પણ સહકાર આપવા અને ગંદકી ન કરવા અપીલ કરી હતી, જેથી મોરબી આગામી સમયમાં સ્વચ્છ શહેર બની શકે. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, મહામંત્રી નિર્મલભાઈ જારીયા, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા સહિત ભાજપના અગ્રણીઓ, હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →