મોરબીમાં યુવાનને 30% વ્યાજે પૈસા આપી ધમકી:બે વ્યાજખોર સામે પઠાણી ઉઘરાણી અને ચેક રિટર્નની ફરિયાદ

Gujarat6/5/2026, 4:33:20 AM
મોરબીમાં યુવાનને 30% વ્યાજે પૈસા આપી ધમકી:બે વ્યાજખોર સામે પઠાણી ઉઘરાણી અને ચેક રિટર્નની ફરિયાદ
મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા એક યુવાને બે વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવાનને 30 ટકાના ઊંચા માસિક વ્યાજે રૂપિયા આપી, વ્યાજ સહિતની રકમ ચૂકવી દીધા બાદ પણ વધુ પૈસા પડાવવા માટે પઠાણી ઉઘરાણી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી હતી. ફરિયાદી પારસભાઈ રમેશભાઈ રૈયાણી (32)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પરબતભાઈ સવજીભાઈ રબારી (રહે. કોયલી) અને નિકુંજ ઉર્ફે નીતિનભાઈ વાસિયાંગભાઈ જારીયા (રહે. ગજડી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, વર્ષ 2025ના દસમા મહિનામાં તેમને રૂપિયાની જરૂર પડતાં અલગ અલગ તારીખે આ બંને શખસ પાસેથી 30 ટકાના ઊંચા માસિક વ્યાજે રૂપિયા લીધા હતા. પારસભાઈએ પરબતભાઈ પાસેથી 4,00,000 રૂપિયા અને નિકુંજ પાસેથી 1,50,000 રૂપિયા લીધા હતા. આ રકમ સામે આરોપીઓએ ગેરંટી તરીકે ફરિયાદીની સહીવાળા કોરા ચેક અને હાથ ઉછીના રૂપિયાનું લખાણ કરાવી લીધું હતું. ફરિયાદીએ પરબત રબારીને અત્યાર સુધીમાં 8.40 લાખ રૂપિયા અને નિકુંજ જારીયાને 1.35 લાખ રૂપિયા વ્યાજ પેટે ચૂકવી દીધા છે. તેમ છતાં, આરોપીઓ દ્વારા મૂળ રકમ અને વ્યાજની બળજબરીપૂર્વક ઉઘરાણી ચાલુ રાખવામાં આવી હતી અને તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી. આ ઉપરાંત, વ્યાજખોરોએ અગાઉ લીધેલા કોરા ચેકને બેંકમાં જમા કરાવી ચેક રિટર્નનો કેસ કરવાની ધમકી આપી નોટિસ પણ મોકલાવી હતી, જેના કારણે ફરિયાદીને માનસિક ત્રાસ ભોગવવો પડ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →