મોરબીમાં જૂની અદાવતમાં પરિવાર પર હુમલો:ડેલી બંધ કરવા મુદ્દે બોલાચાલી, પાંચ સામે ફરિયાદ
મોરબીના ખાટકી વાસ વિસ્તારમાં જૂની અદાવત અને મકાનની ડેલી બંધ કરવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં એક પરિવારના સભ્યો પર હુમલો થયો હતો. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. નવાઝ ઇકબાલભાઈ ચૌહાણ (ઉંમર ૧૮) એ દાઉદભાઈ કાસમભાઈ ચૌહાણ, શાહરુખ દાઉદભાઈ ચૌહાણ, ફાતીમાબેન દાઉદભાઈ ચૌહાણ, ઇરમ દાઉદભાઈ ચૌહાણ અને શબીર અબ્બાસ તરકબાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, બંને પક્ષ એક જ ફળીયામાં રહે છે અને મકાનની ડેલી બંધ કરવા બાબતે અગાઉથી વિવાદ ચાલી રહ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીઓ ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા અને ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો. મામલો ઉગ્ર બનતા મારામારી થઈ હતી. આ દરમિયાન લોખંડના પાઈપ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આ હુમલામાં ઇકબાલભાઈ અને ઝરીનાબેનને ઇજાઓ પહોંચી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →