‘હું છું કિશોર ચીખલીયા’ મોરબી કોંગ્રેસનો સંકલ્પ:પ્રાથમિક સુવિધાઓને પ્રાધાન્ય આપશે, મહાનગરપાલિકાની ચૂંટણી માટે પુષ્પરાજસિંહ જાડેજાએ જાહેરાત કરી
આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોરબી શહેર કોંગ્રેસ દ્વારા રવિવારે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. સનાળા રોડ સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ પક્ષની પ્રતિબદ્ધતાઓ જાહેર કરતા જણાવ્યું હતું કે, જો કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળશે તો શહેરના વિકાસ અને પારદર્શિતા માટે ક્રાંતિકારી ફેરફારો કરવામાં આવશે. ચૂંટણી પ્રચારનો મુખ્ય સંકલ્પ તાજેતરમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. કોંગ્રેસે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ ચૂંટણીને તેમના નામે લડવાનું નક્કી કર્યું છે. પક્ષના તમામ કાર્યકરો "હું છું કિશોર ચીખલીયા" ના સંકલ્પ સાથે પ્રચારમાં જોડાશે. કિશોર ચીખલીયાએ જિલ્લામાં સંગઠનને મજબૂત કરવા આપેલા યોગદાનને ધ્યાને રાખીને કાર્યકરો પૂરી તાકાત સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. કોંગ્રેસની મુખ્ય પ્રતિબદ્ધતાઓ શુદ્ધ પાણીની સુવિધા: શહેરમાં હાલ ફિલ્ટર પ્લાન્ટ બંધ હોવાથી અશુદ્ધ પાણી સપ્લાય થઈ રહ્યું છે. કોંગ્રેસે ખાતરી આપી છે કે સત્તા પર આવતા જ તમામ ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત કરી નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે. જનરલ બોર્ડનું લાઈવ પ્રસારણ: પાલિકાના વહીવટમાં પારદર્શિતા લાવવા માટે જનરલ બોર્ડની બેઠકોનું સીધું પ્રસારણ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. જેથી બોર્ડમાં થતી ચર્ચાઓ અને લેવાયેલા નિર્ણયોની જનતાને સીધી જાણકારી મળે. પાયાની સુવિધાઓ: શહેરના રોડ-રસ્તાની હાલત સુધારવા તેમજ બાગ-બગીચા જેવી પ્રાથમિક સુવિધાઓ વિકસાવવાને પ્રાધાન્ય આપવામાં આવશે. શહેર પ્રમુખે ઉમેર્યું હતું કે, કોંગ્રેસનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોની સુખાકારીમાં વધારો કરવાનો છે. પારદર્શક વહીવટ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન દ્વારા મોરબીના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા પક્ષ કટિબદ્ધ છે.
Read Original Article →