મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતીઓને અભણ ગણાવતા નિવેદન સામે વિરોધ:મોરબીમાં ભાજપના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યાં, કોંગ્રેસ પાસેથી માફીની માંગ કરી
રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળની ચૂંટણી સભામાં ગુજરાતીઓને અભણ ગણાવવામાં આવ્યા હતા. આ નિવેદનના વિરોધમાં ભાજપ દ્વારા રાજ્યભરમાં પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. મોરબી જિલ્લા ભાજપ પરિવારે મંગળવારે સાંજે 7 વાગ્યે ભક્તિનગર સર્કલ પાસે ધરણા પ્રદર્શન યોજ્યું હતું. આ પ્રદર્શનમાં મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું હતું અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ ગુજરાતીઓની માફી માંગે તેવી માંગ કરી હતી. પ્રદર્શન દરમિયાન 'ગુજરાત વિરોધી કોંગ્રેસ હાય હાય' અને 'મલ્લિકાર્જુન ખડગે હાય હાય' જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે, વિશાલભાઈ ઘોડાસરા, અશોકભાઇ દેસાઇ, રવિભાઈ સનાવડા, કે.કે. પરમાર, નયનભાઈ કવર, નીતેશભાઇ બાવરવા, નિલેશભાઈ પટેલ, સુરેશભાઈ શિરોહીયા, નિર્મળાબેન હડિયલ અને મમતાબેન સહિતના અગ્રણીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની હંમેશા ગુજરાત વિરોધી માનસિકતા રહી છે. તેમણે ગુજરાતીઓનું અપમાન કરનાર કોંગ્રેસ પાસેથી તાત્કાલિક માફીની માંગ કરી હતી.
Read Original Article →