'આ ત્રણ રુપિયાથી નહીં ચાલે હજુ ભાવ વધશે':'ભાવ વધારાથી ગરીબ પ્રજા પર મોટી અસર પડશે', પેટ્રોલ-ડીઝલના ભાવવધારા પર મહેસાણાના લોકોની આકરા શબ્દોમાં પ્રતિક્રિયા

Gujarat5/15/2026, 9:25:51 AM
'આ ત્રણ રુપિયાથી નહીં ચાલે હજુ ભાવ વધશે':'ભાવ વધારાથી ગરીબ પ્રજા પર મોટી અસર પડશે', પેટ્રોલ-ડીઝલના ભાવવધારા પર મહેસાણાના લોકોની આકરા શબ્દોમાં પ્રતિક્રિયા
ગુજરાત સહિત દેશભરમાં આજથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. ત્યારે સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક પ્રહાર થયો છે. પેટ્રોલમાં પ્રતિ લિટર ₹2.99 અને ડીઝલમાં ₹3.09નો તોતિંગ વધારો ઝીંકવામાં આવતા નવા ભાવો અનુક્રમે ₹97.50 અને ₹93.29 પર પહોંચી ગયા છે. સામાન્ય રીતે ઇંધણના ભાવમાં ફેરફાર મધ્યરાત્રિએ 12 વાગ્યે થતો હોય છે, પરંતુ આ વખતે ઈતિહાસમાં પ્રથમવાર રાત્રે 3 વાગ્યે પંપ સંચાલકોને સૂચના આપી તાત્કાલિક અસરથી નવા ભાવ લાગુ કરી દેવાતા ગ્રાહકોમાં ભારે આશ્ચર્ય અને આક્રોશની લાગણી જોવા મળી રહી છે. 'ઘરમાં એકથી વધુ વાહન હોય તો બજેટ પર અસર કરે' વહેલી સવારે પેટ્રોલ પંપ પર પહોંચેલા વાહનચાલકો આ ભાવવધારાથી સ્તબ્ધ થઈ ગયા હતા. સ્થાનિક દિપક ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ઘરમાં એકથી વધુ વાહનો હોય ત્યારે આ ભાવવધારો સીધી રીતે ઘરના બજેટ પર મોટી અસર કરે છે. જે લોકો રોજનું કમાઈને રોજ ખાય છે, તેમના માટે આ પરિસ્થિતિ અત્યંત કપરી બનશે. લોકોમાં એવી પણ ચર્ચા છે કે જો વૈશ્વિક પરિસ્થિતિ આવી જ રહી તો આગામી દિવસોમાં ભાવ હજુ પણ વધી શકે છે. 'ચૂંટણી પછી ભાવ વધ્યા છે' કિશોરભાઈએ જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલના ભાવના વધારાના કારણે બધી વસ્તુઓ ઉપર માર પડવાનો જ છે. ઘણી જગ્યાએ શાકભાજી મળતા નથી. ઘણા રસોડાઓ તો બંધ થઈ ગયા છે. ચાની લારીઓ બંધ થઈ ગઈ. હવે ચૂંટણી પછી લોકો કહે છે કે યુદ્ધ પછી વધ્યા છે, ચૂંટણી પછી વધ્યા છે. ચૂંટણી તો હવે મ્યુનિસિપાલિટીનીને એ બધું દર પાંચ વર્ષે થાય જ છે. ચૂંટણીનો પ્રશ્ન નથી આવતો પણ આ બધું યુદ્ધના કારણે ઘણી અસરો પડી છે. 'રાજકારણીઓના કારણે ઘણું બધું નુકસાન થાય છે' ઠાકોર નટુજીએ જણાવ્યું હતું કે, જે પેટ્રોલ, ડીઝલ કે ગેસના ભાવ વધ્યા છે એનાથી આર્થિક પરિસ્થિતિ નબળી હોય તે પબ્લિકને ઘણું બધું નુકસાન પડેલ છે. કોઈ કહે ઇલેક્શનથી ભાવ વધ્યા, ભાજપની સરકારમાં ભાવ વધ્યા, કોઈ કહે કોંગ્રેસ નથી આવતું એમાં ભાવ વધ્યા, તો અમારે પબ્લિકને કઈ પરિસ્થિતિ વિચારવી? પબ્લિકને કેવો માર પડશે. આજે રાજકારણીઓના કારણે ઘણું બધું નુકસાન થાય છે અને સાચો ન્યાય ગરીબ પ્રજાને મળતો નથી. ભાવ વધવાથી ગરીબ પ્રજાને ઘણી બધી મોટી અસર પડશે. ભાવ ઘટાડવા અમારી વિનંતી છે.
Read Original Article →