મહેસાણાની પરિણીતાને દહેજ માટે શારીરિક-માનસિક ત્રાસ:'તું ભીખારી ઘરની છે' તેમ કહી મેણાં-ટોણાં માર્યા, પતિ સહિત સાસરિયાં વિરુદ્ધ ગુનો નોંધાયો
મહેસાણાના પાલાવાસણા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ તેના મધ્યપ્રદેશ સ્થિત સાસરિયાં વિરુદ્ધ દહેજ પેટે રૂ.25 લાખની માંગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ મહેસાણા તાલુકા પોલીસ મથકે નોંધાવી છે. 'તું ભીખારી ઘરની છે' તેમ કહી મેણાં-ટોણાં માર્યા
શહેરમાં પાલાવાસણાની કેશરનગર સોસાયટીમાં રહેતી 33 વર્ષીય નીશાના લગ્ન નવેમ્બર 2023માં મધ્યપ્રદેશના નીમચ ખાતે રહેતા અભિષેક મનોજકુમાર શર્મા સાથે થયા હતા. લગ્નના શરૂઆતના દિવસો બાદ પતિએ પત્ની સાથે અંતર રાખવાનું શરૂ કર્યું હતું અને જણાવ્યું હતું કે આ લગ્ન તેણે માત્ર ઘરવાળાની ખુશી માટે કર્યા છે. ત્યારબાદ પતિ અને સાસુ સંતોષદેવી દ્વારા પરિણીતાને 'તું ભીખારી ઘરની છે' તેમ કહી મેણાં-ટોણાં મારવાનું અને નાની-નાની વાતોમાં મારઝૂડ કરવાનું શરૂ કરાયું હતું. દીકરીનું ઘર ન ભાગે તે માટે પિતાએ 10 લાખ આપ્યા
આ દરમિયાન પતિએ નવો ફ્લેટ લેવા માટે પત્ની પાસે તેના પિતા પાસેથી 25 લાખ રૂપિયા મંગાવવા દબાણ કર્યું હતું. દીકરીનું ઘર ન ભાંગે તે હેતુથી પિતાએ કટકે-કટકે કુલ 10 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. જોકે, બાકીના 16 લાખ રૂપિયાની વ્યવસ્થા ન થતા સાસરિયાંનો ત્રાસ અસહ્ય બની ગયો હતો. ગત ઓગસ્ટ મહિનામાં બાકીના પૈસા મુદ્દે પતિ, સાસુ અને કાકાજી-કાકીજીએ ભેગા મળી પરિણીતાને ઢોર માર માર્યો હતો, જેમાં તેને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. પરિણીતાની સાસરીયાઓ સામે ફરિયાદ
અંતે પતિએ 'બાકીના 15 લાખ લાવશે તો જ ઘરમાં રાખીશ' કહીને પરિણીતાને કાઢી મૂકતા તે હાલ પિયરમાં રહે છે. આ મામલે મહેસાણા તાલુકા પોલીસે પતિ અભિષેક શર્મા, સાસુ સંતોષદેવી, કાકા કીશોર શર્મા અને કાકી ગીતાદેવી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →