પુત્રવધૂ ગર્ભપાત કરાવી દેશેની ખોટી શંકાએ સાસરીયાઓએ અભયમની મદદ માંગી:કાઉન્સેલિંગથી પરિવારે સમજદારી દાખવતા આખરે મામલો સુખદ સમાધાન તરફ વળ્યો
સમાજમાં આજે પણ ક્યાંક ને ક્યાંક પ્રચલિત સાટા-પેટા લગ્ન પ્રથા અને પારિવારિક ગેરસમજને કારણે એક ગર્ભવતી મહિલાનો સંસાર ભાંગતા ભાંગતા બચ્યો હતો. પિયર ગયેલી ગર્ભવતી પુત્રવધૂ ગર્ભપાત કરાવી દેશે તેવી ખોટી શંકા રાખીને બેઠેલા સાસરીયાઓએ 181 અભયમ હેલ્પલાઈનની મદદ માંગતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જોકે, અભયમ ટીમના કુનેહપૂર્વકના કાઉન્સેલિંગથી પરિવારે સમજદારી દાખવતા આખરે મામલો સુખદ સમાધાન તરફ વળ્યો હતો. બે માસના ગર્ભ સાથે મહિલા પિયર ગઈ હતી
મહેસાણા પંથકમાં એક માતા વગરની યુવતીના સામાજિક પ્રથા મુજબ સાટા-પેટામાં લગ્ન થયા હતાં. લગ્ન બાદ સાસરીમાં મન ન લાગતાં અને યોગ્ય રીતે રાખવામાં ન આવતા, બે માસના ગર્ભ સાથે તે પિયર ગઈ હતી. પિયરમાં તેની તબિયત બગડતાં ગર્ભમાં જ બાળકનો વિકાસ અટકી ગયો હતો અને કુદરતી રીતે જ તેણે બાળક ગુમાવવું પડયું હતું. ત્યારબાદ ફરીથી ગર્ભ રહેતા તે ચાર માસના ગર્ભ સાથે પિયર આવી હતી. પતિને શંકા ગઈ હતી કે તેણે જાતે જ ગર્ભપાત કરાવ્યો હતો
યુવતી અગાઉ પિયર ગઈ ત્યારે બાળક ગુમાવવું પડયું હોવાથી સાસુ અને પતિને એવી શંકા ગઈ હતી કે તેણે જાતે જ ગર્ભપાત કરાવ્યો હતો. હવે ફરીથી તે પિયર જતાં તે ફરી ગર્ભપાત કરાવી દેશે અને તેમનો વંશવેલો આગળ નહીં વધે તેવી શંકા સાથે સાસુએ 181 અભયમ હેલ્પલાઈ ન પર કોલ કરી મદદ માંગી હતી. સાસરીયામાં સારો વ્યવહાર ન થતો હોવાથી તે પિયર આવી હોવાનું કહ્યું
માહિતી મળતા જ અભયમની ટીમ તુરંત સ્થળ પર પહોંચી હતી. યુવતીનું કાઉન્સેલિંગ કરતા તેને સાસરીમાં તેની સાથે સારો વ્યવહાર ન થતો હોવાથી તે પિયર આવી હોવાનું અને ગર્ભપાત અંગે પૂછતા તેણે અગાઉ બનેલી તબીબી ઘટનાની સત્યતા જણાવી સ્પષ્ટ કર્યું હતું કે તે પોતે પણ આ બાળકને જન્મ આપવા માંગે છે અને રાખવા ઉત્સુક છે. કાઉન્સેલિંગથી પરિવારે સમજદારી દાખવતા આખરે સુખદ સમાધાન
આ વિવાદનો કાયમી ઉકેલ લાવવા કાઉન્સેલરે સાટા-પેટા લગ્નના સંબંધોનો સહારો લીધો હતો. યુવતીના ભાઈ સાથે જે યુવતીના લગ્ન થયા છે જે સંબંધમાં તેની ભાભી અને નણંદ બંને થાય છે તે પણ 9 માસની ગર્ભવતી છે અને તેના ભાઈનો વંશ આગળ વધારી રહી છે. આ ઉદાહરણ આપી કાઉન્સેલરે યુવતીને સમજાવી હતી કે તેણે પણ સમજદારી રાખી પોતાનો સંસાર વસાવવો જોઈએ. બીજી તરફ અભયમ ટીમે સાસુ અને પતિને કાયદાકીય સમજ આપી ગર્ભવતી યુવતીને શારીરિક કે માનસિક રીતે હેરાન ન કરવા અને તેની સમયસર સારવાર તેમજ યોગ્ય દેખરેખ રાખવા કડક સૂચના સાથે સમજાવ્યા હતા. અંતે પરિવારના તમામ સભ્યોએ ભૂલ સ્વીકારી સમજદારી દાખવતા પરિવાર તૂટતા બચ્યો હતો અને સુખદ સમાધાન થયું હતું.
Read Original Article →