પાંચ હાઇ-વે નીકળતા ખેડૂતોમાં ચિંતા:મહેસાણા મહાનગરપાલિકાની ટીપી સ્કીમ અને નવા હાઈવેના પ્રોજેક્ટ સામે ઉચરપીના ખેડૂતોમાં ભારે રોષ, ચૂંટણી બહિષ્કારની ચીમકી

Gujarat4/5/2026, 9:43:16 AM
પાંચ હાઇ-વે નીકળતા ખેડૂતોમાં ચિંતા:મહેસાણા મહાનગરપાલિકાની ટીપી સ્કીમ અને નવા હાઈવેના પ્રોજેક્ટ સામે ઉચરપીના ખેડૂતોમાં ભારે રોષ, ચૂંટણી બહિષ્કારની ચીમકી
મહેસાણા નગરપાલિકાનો મહાનગરપાલિકામાં સમાવેશ થયા બાદ વિકાસની પ્રક્રિયા તેજ બની છે પરંતુ, આ વિકાસ હવે ખેડૂતો માટે મુસીબત સમાન સાબિત થઈ રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અને નવનિર્મિત મહાનગરપાલિકામાં ભળેલા નાનકડા ઉચરપી ગામના ખેડૂતોમાં વહીવટીતંત્રના રોડ પ્રોજેક્ટ્સને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગામની આસપાસ એક-બે નહીં પણ પાંચ જેટલા મોટા રોડ પસાર થવાના હોવાથી ખેડૂતોએ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો મક્કમ નિર્ણય કર્યો છે. એક કિલોમીટરના અંતરમાં પાંચ મોટા રોડની જાળ ઉચરપી ગામના ખેડૂતોના જણાવ્યા અનુસાર ગામની અત્યંત નજીકથી ભારતમાલા હાઈવે, શામળાજી-હિંમતનગર હાઈવે, મહેસાણા રિંગ રોડ અને મહાનગરપાલિકાના બે મોટા ટીપી રોડ પસાર થવાના છે. નવાઈની વાત એ છે કે આ તમામ રોડ વચ્ચેનું અંતર એક કિલોમીટર કરતા પણ ઓછું છે. આ આડેધડ આયોજનને કારણે ખેડૂતોની કિંમતી જમીનો કપાતમાં જઈ રહી છે. ખેડૂતોનો આરોપ છે કે, ટીપી સ્કીમના કારણે પહેલાથી જ 40 ટકા જમીન કપાતમાં ગઈ છે.અને હવે આ નવા હાઈવે પ્રોજેક્ટ્સને લીધે ખેડૂતો પાસે આંગળીના વેઢે ગણાય તેટલી જમીન પણ બચશે નહીં. પશુપાલન અને ખેતી પર સંકટ સ્થાનિક ખેડૂત આગેવાન ભરતભાઈ ચૌધરી અને શંકરભાઈ ચૌધરીએ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ઉચરપી ગામના મોટાભાગના પરિવારો પાસે સરેરાશ 2 થી 4 વીઘા જમીન જ છે. ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. જો આટલા મોટા પાયે જમીન સંપાદન કે કપાત થશે તો 60 ટકાથી વધુ ખેડૂતો જમીન વિહોણા થઈ જશે. જમીન વગર પશુઓને ક્યાં રાખવા અને તેમનો ચારો ક્યાંથી લાવવો તે મોટો પ્રશ્ન છે.જેના કારણે પશુપાલનનો વ્યવસાય પણ સંપૂર્ણપણે ઠપ થઈ જવાની ભીતિ છે. બિનજરૂરી રોડ રદ કરવા માંગ ખેડૂતોની સ્પષ્ટ રજૂઆત છે કે, રિંગ રોડની કોઈ જરૂરિયાત જણાતી નથી કારણ કે, તેની બિલકુલ નજીકથી અન્ય હાઈવે પસાર થઈ રહ્યા છે. સરકાર દ્વારા કરવામાં આવેલું આ આયોજન ખેડૂતોને પાયમાલ કરનારું હોવાનું જણાવી ખેડૂતોએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આ બિનજરૂરી રોડના પ્રોજેક્ટ રદ કરવામાં નહીં આવે તો તેઓ આગામી સમયમાં ચૂંટણીનો સદંતર બહિષ્કાર કરશે અને ન્યાય માટે ઉગ્ર લડત આપશે.
Read Original Article →