મહેસાણામાં ઊર્જા મંત્રીના અધ્યક્ષસ્થાને સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ:જનહિતના પ્રશ્નોનો સમયમર્યાદામાં નિકાલ કરવા ઋષિકેશ પટેલે તાકીદ કરી
મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન મંત્રીએ જિલ્લામાં કાર્યરત વિવિધ વિભાગોના અધિકારીઓને જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી તેનું ઝડપથી અને સમયમર્યાદામાં નિરાકરણ લાવવા અનુરોધ કર્યો હતો. તેમણે પદાધિકારીઓના પ્રશ્નો પર વિશેષ લક્ષ કેન્દ્રિત કરવા માટે તમામ સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને તાકીદ કરી હતી. પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ બાબતે વિગતવાર ચર્ચા
આ બેઠકમાં ઉપસ્થિત વિવિધ ધારાસભ્યો દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નો અને લોકઉપયોગી કામો અંગે વિસ્તૃત રજૂઆતો કરવામાં આવી હતી. સંકલન બેઠકમાં એસ.ટી. બસ, પાણીની સુવિધા, નવી પાણીની ટાંકીઓ બનાવવી, નહેરોની સફાઈ, જળ સંચય, વિકાસ કાર્યોને વેગ આપવો અને ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈની વ્યવસ્થા સત્વરે હાથ ધરવા જેવા મહત્વના મુદ્દાઓ ચર્ચાયા હતા. આ ઉપરાંત રસ્તાઓનું પેચવર્ક, દિશા-નિર્દેશ બોર્ડ લગાવવા, 'બ્લેક સ્પોટ' સુધારણા, દબાણ હટાવવાની કામગીરી તેમજ સ્થાનિક રસ્તાઓની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા સહિતની પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ બાબતે વિગતવાર ચર્ચા કરીને હકારાત્મક નિવારણ લાવવામાં આવ્યું હતું. 'હેલ્મેટ ડ્રાઇવ' અંગે પણ વિશેષ ચર્ચા કરાઈ
બેઠકમાં ટ્રાફિક અકસ્માતો અટકાવવા અને લોકોમાં ટ્રાફિક જાગૃતિ લાવવાના હેતુથી 1થી 31 મે દરમિયાન હાથ ધરાયેલી ખાસ 'હેલ્મેટ ડ્રાઇવ' અંગે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત માત્ર હેલ્મેટ જ નહીં, પરંતુ સીટ બેલ્ટ ન બાંધવો અને વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવવી જેવા ટ્રાફિક નિયમોના ભંગ બદલ પણ કાયદેસરની કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવી રહ્યો છે, જેથી લોકોમાં આ અંગે વધુ જાગૃતિ આવે તેવા પ્રયાસો કરવા જણાવાયું હતું. યોજનાઓની પ્રગતિ અને કામગીરીની સઘન સમીક્ષા કરી
લોકકલ્યાણને અગ્રતા આપતાં મંત્રીએ જિલ્લામાં હાલમાં ચાલી રહેલી વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓની પ્રગતિ અને કામગીરીની સઘન સમીક્ષા કરી હતી. સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી સમયસર અને પારદર્શક રીતે પહોંચે તે માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, ધારાસભ્યો સર્વે મુકેશભાઈ પટેલ, સરદારભાઈ ચૌધરી, કિરીટભાઈ પટેલ, સી.જે. ચાવડા, સુખાજી ઠાકોર તેમજ નિવાસી અધિક કલેક્ટર જે.કે. જેગોડા, પ્રાંત અધિકારીઓ અને વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →