'ગુજરાતનું અપમાન કરવું એ કોંગ્રેસની પ્રકૃતિ બની ગઈ છે':મહેસાણામાં ભાજપ જિલ્લા પ્રમુખે કહ્યું કે, ગુજરાતીઓનું અપમાન ક્યારેય સહન નહીં
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ સંદર્ભે આપવામાં આવેલા તાજેતરના નિવેદનના ઘેરા પ્રત્યાઘાત મહેસાણામાં જોવા મળ્યા છે.મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના આગેવાનોએ કોંગ્રેસ અધ્યક્ષના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું. આ વિવાદના વિરોધમાં આવતીકાલે મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા બે કલાકના મૌન ધરણા યોજવાનું એલાન કરવામાં આવ્યું છે. ‘ગુજરાતનું અપમાન કરવું એ કોંગ્રેસની પ્રકૃતિ બની ગઈ’
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ખડગેજીનું નિવેદન એક રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષને જરાય શોભતું નથી. ગુજરાતનું અપમાન કરવું એ કોંગ્રેસની પ્રકૃતિ બની ગઈ હોય તેમ લાગે છે. દેશમાં ભાજપના લાંબા શાસન અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત બનેલી સરકારથી અકળાઈને કોંગ્રેસ હવે ગુજરાત અને ગુજરાતીઓને નિશાન બનાવી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ભૂતકાળમાં પણ નર્મદા યોજના અટકાવીને અને સરદાર સાહેબને ભારત રત્ન ન આપીને કોંગ્રેસે ગુજરાતને અન્યાય કર્યો છે.અને હવે ગુજરાતીઓને 'અભણ' કે 'મૂર્ખ' કહીને 7 કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે જે ગુજરાત ક્યારેય સહન નહીં કરે. ‘ગુજરાત કોંગ્રેસ ખડગેના નિવેદન મુદ્દે સ્થિતિ સ્પષ્ટ કરો’
આ પ્રસંગે પ્રદેશ ભાજપના સહ-પ્રવક્તા જયરાજસિંહ પરમારે પણ હાજરી આપી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસે મલ્લિકાર્જુન ખડગેના આ નિવેદન મુદ્દે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ. તેમણે આ મુદ્દાને માત્ર પક્ષ પૂરતો સીમિત ન રાખતા સમગ્ર ગુજરાતના સ્વાભિમાનનો ગણાવ્યો હતો. આવતીકાલે સવારે 10 થી 12 વાગ્યા સુધી મૌન ધરણાનો કાર્યક્રમ
આ નિવેદનના વિરોધમાં મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા આવતીકાલે સવારે 10 થી 12 વાગ્યા સુધી મૌન ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવશે. આ ધરણા દ્વારા ભાજપના કાર્યકરો અને આગેવાનો શાંતિપૂર્ણ રીતે પોતાનો આક્રોશ વ્યક્ત કરશે અને કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતાનો વિરોધ કરશે.
Read Original Article →