મહિસાગરમાં નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાક્ટરની ધરપકડ:67 લાખની ગેરરીતિમાં CID ક્રાઈમે કાર્યવાહી કરી, અત્યાર સુધીમાં 31ની ધરપકડ
રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી નલ સે જલ યોજનાનો મુખ્ય હેતુ છેવાડાના ગામડાં સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાનો છે. જોકે, મહીસાગર જિલ્લામાં આ યોજનાના અમલીકરણ દરમિયાન કરોડો રૂપિયાનું કૌભાંડ આચરાયું હોવાનું સામે આવતા રાજ્યભરમાં ભારે ચર્ચા જાગી હતી. 123 કરોડના નલ સે જલ કૌભાંડમાં ધરપકડ
વડોદરા CID ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે સમગ્ર કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ અનેક ગામોમાં નલ સે જલ યોજનામાં થયેલી ગેરરીતિઓ અને નાણાકીય કૌભાંડના નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. મહીસાગર જિલ્લાના 123 કરોડના નલ સે જલ કૌભાંડમાં CID ક્રાઈમ બ્રાન્ચે વધુ એક કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે. કોન્ટ્રાક્ટરે ઉમ્બેર ગામમાં નલ સે જલ યોજના હેઠળ કામ કર્યું હતું
આ તપાસના ભાગરૂપે, કોન્ટ્રાક્ટર હરીશ રામજીભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ ઉમ્બેર ગામની પાણી પુરવઠા યોજનામાં આચરેલી ગેરરીતિના સંબંધમાં કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે યોજનાના અમલીકરણ દરમિયાન આશરે 67 લાખ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 31 આરોપીઓની ધરપકડ
CID ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 31 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં સરપંચો, પાણી સમિતિના સભ્યો અને કોન્ટ્રાક્ટરોનો સમાવેશ થાય છે. તપાસ એજન્સીઓનું માનવું છે કે આ કૌભાંડના કેટલાક મુખ્ય સૂત્રધારો હજુ પણ કાયદાની પકડથી દૂર છે. આ કૌભાંડને લઈને જિલ્લાવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે પીવાના પાણી અને સરકારી નાણાંની લૂંટ કરનાર તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. હવે સૌની નજર CID ક્રાઈમ બ્રાન્ચની આગામી કાર્યવાહી પર છે.
Read Original Article →