મહીસાગરમાં વસ્તી ગણતરી-2027 નો પ્રથમ તબક્કો શરૂ:નાગરિકોને સ્વ-ગણતરી કરવા અને ગણતરીદારોને સહકાર આપવા અપીલ
ભારત સરકાર દ્વારા ભવિષ્યની યોજનાઓ અને વિકાસની રૂપરેખા સુનિશ્ચિત કરવા માટે વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ અંતર્ગત, મહીસાગર જિલ્લામાં જનગણના-2027 ના પ્રથમ તબક્કાની, એટલે કે ઘર યાદીની કામગીરી, આગામી 1 જૂનથી 30 જૂન સુધી ચાલશે. મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થે જિલ્લાના નાગરિકોને આ રાષ્ટ્રીય કામગીરીમાં સહભાગી થવા અને ઓનલાઈન સ્વ-ગણતરી (Self-Enumeration) કરવા અપીલ કરી છે. નાગરિકો જાતે જ પોતાની માહિતી ઓનલાઈન ભરી શકે તે માટે 17 મે થી 31 મે સુધી સ્વ-ગણતરીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ અંતર્ગત, નાગરિકો સરકારની વેબસાઈટ ‘se.census.gov.in’ પર લોગીન કરીને પોતાની વિગતો જાતે જ ભરી શકશે. આ ફોર્મ ભર્યા બાદ એક 11 આંકડાનો સ્વ-ગણતરી આઈડી (ID) જનરેટ થશે, જેને સાચવી રાખવો ફરજિયાત છે. જ્યારે પણ વસ્તી ગણતરીની કામગીરી માટે ગણતરીદાર આપના ઘરે મુલાકાત લે, ત્યારે આ 11 આંકડાનો જનરેટ થયેલો આઈડી તેઓને બતાવવાનો રહેશે. આ પ્રક્રિયાથી કામગીરી વધુ સરળ અને પારદર્શક બનશે. તારીખ 1 જૂન થી 30 જૂન સુધી ડોર-ટુ-ડોર (ઘરે-ઘરે જઈને) વસ્તી ગણતરીની કામગીરી કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં મહીસાગર જિલ્લાના કુલ 2200 થી વધુ કર્મચારીઓ અને સ્ટાફ આ રાષ્ટ્રીય અભિયાનમાં જોડાશે. ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થે જિલ્લા વહીવટી તંત્ર વતી તમામ નાગરિકોને અનુરોધ કર્યો છે કે, રાષ્ટ્રહિતની આ કામગીરીમાં પોતાનું સેલ્ફ એન્યુમેરેશન ઓનલાઈન કરી, તેમજ ઘરે આવનાર વસ્તી ગણતરી સ્ટાફને સંપૂર્ણ સહકાર આપી, સાચી અને જરૂરી વિગતો પૂરી પાડીને આ રાષ્ટ્રીય કામગીરીમાં સહભાગી બને.
Read Original Article →