મહીસાગરમાં નલ સે જલ કૌભાંડમાં મોટી કાર્યવાહી:લુણાવાડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભાજપ નેતા મનહર પટેલ સહિત 3 કોન્ટ્રાકટરની ધરપકડ
મહીસાગર જિલ્લાના રૂ. 123 કરોડના નલ સે જલ કૌભાંડમાં CID ક્રાઈમે વધુ ત્રણ કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરી છે. આ ધરપકડ કરાયેલા આરોપીઓમાં પ્રદીપ શેઠનું રાજકીય કનેક્શન પણ સામે આવ્યું છે, જેના કારણે મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. અગાઉ આ કૌભાંડમાં વાસ્મોના તત્કાલીન અધિકારીઓ, કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરો અને સરપંચોની ધરપકડ કરવામાં આવી હતી. વડોદરા CID ક્રાઈમ દ્વારા નોંધાયેલી ફરિયાદની તપાસ દરમિયાન કોન્ટ્રાક્ટરો અને સરપંચોની સંડોવણી સ્પષ્ટ થઈ હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં નવીનભાઈ કુંવરજીભાઈ ભરવાડનો સમાવેશ થાય છે, જેમની સરવરિયા ગામ પાસેથી ધરપકડ કરવામાં આવી છે. CID મુજબ, તેમની પાસેથી આશરે રૂ. 30 લાખની રિકવરી હજુ બાકી છે. નવીન ભરવાડે ફેલસાણી, ખાંડીવાવ, ઓથવાડ અને વડદલા ગામોમાં કામ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, કોન્ટ્રાક્ટર મનહરભાઈ જેઠાભાઈ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમણે આંબા, સરસવા અને માલવણ ગામોમાં નલ સે જલ યોજનાના કામો કર્યા હતા. ત્રીજા કોન્ટ્રાક્ટર પ્રદીપકુમાર કાંતિલાલ શેઠને પણ CID ક્રાઈમે ઝડપી પાડ્યા છે. પ્રદીપ શેઠે સરસવા, માલવણ, આસુંદરિયા, બોર, બાર, ભાનજીની વાવ, રોજાવ, ઘાટડા, ગોપાલપુરા, જોધપુર, વડાઝાપા અને રતનકુવા સહિત અનેક ગામોમાં નલ સે જલ યોજનાના કામો કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તપાસ દરમિયાન એ પણ બહાર આવ્યું છે કે પ્રદીપ શેઠ વીરપુર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ રહી ચૂક્યા છે અને ભાજપ સાથે તેમનું રાજકીય જોડાણ પણ રહ્યું છે. તેઓ વિવિધ એજન્સીઓ હેઠળ સબ-કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા. હાલ CID ક્રાઈમ ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે. તપાસ દરમિયાન કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકો, ગેરરીતિની વ્યાપકતા અને નાણાકીય વ્યવહારો અંગે વધુ મહત્વની વિગતો બહાર આવે તેવી શક્યતા છે.
Read Original Article →