બાલાસિનોરના દોલતપોરડામાં કરા સાથે કમોસમી વરસાદ:બાજરી, ઘાસચારાના પાકને વ્યાપક નુકસાન, તૈયાર થયેલ પાક નષ્ટ થયો

Gujarat4/8/2026, 4:06:37 PM
બાલાસિનોરના દોલતપોરડામાં કરા સાથે કમોસમી વરસાદ:બાજરી, ઘાસચારાના પાકને વ્યાપક નુકસાન, તૈયાર થયેલ પાક નષ્ટ થયો
મહીસાગર જિલ્લામાં ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આ વરસાદ લુણાવાડા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારો, બાલાસિનોર તાલુકાના કેટલાક ગામો અને કડાણા તાલુકાના રાજસ્થાન બોર્ડરના ગામોમાં વધુ પડ્યો હતો. લુણાવાડા તાલુકાના ધામોદ,લાલસર,સાધકપુર, સરોલી, જુફરાલી, ડેટા, ખેમપુર, કડાછલા સહિત કોઠંબા વિસ્તાર માં વધુ વરસાદ વરસ્યો હતો. બાલાસિનોર તાલુકાના દોલતપોરડા ગામે કમોસમી વરસાદથી ખેતીને વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને બાજરીના પાકને મોટો ફટકો પડ્યો છે, જ્યાં કરા પડવાથી બાજરીના રાડા પણ તૂટી ગયા છે. આ ઉપરાંત, ઘાસચારો, શાકભાજી અને આંબા પર લાગેલી કેરીને પણ નુકસાન થયું છે. દોલતપોરડા ગ્રામ પંચાયતના સરપંચે આસપાસના ગામોમાં થયેલા કરા સાથેના વરસાદને લઈને વિશેષ સર્વે હાથ ધરવા અને ખેડૂતોને વળતર આપવા માટે માંગ કરી છે. ખેડૂતો હવે સરકાર તરફથી પાક નુકસાનની સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. અંબાલાલ ભાઈ પટેલ ખેડૂતે જણાવ્યું હતું કે, દોલત પોરડા ગામે કાલે 4 વાગે વરસાદનો તો છાંટો પણ નઈ બિલકુલ બરફ જ પડ્યો. જમીન પર પથરાઈ ગયો. મારે 12 થેલી બાજરી ઓટલી હતી એમાંથી 6 થેલી બિયારણ ની પાકેલી બાજરી નિષ્ફળ ગઈ.ઘાસમાં પણ કામ લાગે તેવું નથી અમે ત્રણ બોર વાળા ખેડૂતોને 20 વિઘા જમીનમાં વાવેતર સાફ થઈ ગયું. મનોજભાઈ પટેલ દોલતપોરડા ગામના સરપંચ એ જણાવ્યું હતું કે, ગઈ કાલે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો મોટા પ્રાણમાં વરસાદ અને વાવાઝોડું આવ્યું છે જેના કારણે 100 હેક્ટર જેટલી જમીનોમાં મોટા પ્રાણમાં નુકશાન થયેલું છે બિલકુલ પાક નષ્ટ થઈ ગયો છે. આમ તો અમારે દોલત પોરડા , ધનેલા, આલેલા , ગુંડેલા, તાજેરી પંચાયત આટલા વિસ્તારમાં લગભગ મોટા પ્રમાણમાં કરા પડ્યા છે. ગઈ કાલે તો જમીન ઉપર એક ફૂટ જેટલો બરફ પથરાઈ ગયો હતો.
Read Original Article →