હાશકારો:કાનમેર ગામે બંધ કુવામાં પાણીના ધોધ વછૂટતા ગ્રામજનોમાં ખુશી

Gujarat4/12/2026, 12:00:00 AM
હાશકારો:કાનમેર ગામે બંધ કુવામાં પાણીના ધોધ વછૂટતા ગ્રામજનોમાં ખુશી
રાપર તાલુકાના કાનમેર ગામે પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ગામમાં વર્ષોથી પુરાઈ ગયેલા અને વિસરાઈ ગયેલા પ્રાચીન કુવાઓને સરપંચના માર્ગદર્શન હેઠળ પુનઃજીવિત કરાતા ગામમાં મીઠા પાણીના સ્ત્રોત ફરી જીવંત થયા છે. કાનમેર ગામના સરપંચ રામજીભાઈ રાજપૂતે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગામમાં લાંબા સમયથી અમુક કુવાઓ કચરો અને માટી ભરાઈ જવાથી પુરાઈ ગયા હતા. આ કુવાઓને ફરીથી કાર્યરત કરવા માટે સાયડા ઊંડા ઉતારી સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી. સફાઈ દરમિયાન કુવાની અંદરથી કુદરતી પાણીના ધોધ વહી નીકળતા જોનારા સૌ કોઈ દંગ રહી ગયા હતા. એકસાથે ત્રણ કુવાની સફાઈ કરાતા ત્રણેયમાં પીવાલાયક મીઠું પાણી મળી આવ્યું છે. આ સફળતાને પગલે કાનમેર ગામની જનતામાં હર્ષની લાગણી ફેલાઈ છે. વર્ષોથી પીવાના પાણી માટે જે મુશ્કેલી વેઠવી પડતી તેનો અંત આવ્યો છે જળ સંચય અને જૂના જળ સ્ત્રોતોને જીવંત કરવાની આ પહેલ અન્ય ગામો માટે પણ માર્ગદર્શક બની રહી છે.
Read Original Article →