ભાસ્કર એક્સક્લુસિવ:પરિવારને 5, સંસ્થાને 25 લિ. કેરોસીન મળશે

Gujarat4/10/2026, 1:25:58 AM
ભાસ્કર એક્સક્લુસિવ:પરિવારને 5, સંસ્થાને 25 લિ. કેરોસીન મળશે
ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારની સૂચના અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં રાંધણ ગેસ ઉપરાંત કેરોસીનની જરૂરિયાતને પહોંચી વળવા માટે નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. જેના અનુસંધાને કચ્છમાં કેરોસીન ડીલર એસોસિયેશન અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓના સહયોગથી જિલ્લામાં કેરોસીન વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લાવાર 36 KL (કિલો લિટર) કેરોસીનની ફાળવણી કરવામાં આવી છે. આ જથ્થાનો ઉપયોગ મુખ્યત્વે રાંધવા અને પ્રકાશની વ્યવસ્થા (લાઇટ) માટે જ કરી શકાશે. જેમાં પરિવાર દીઠ 5 લિટર કેરોસીન અને સંસ્થા દીઠ 25 લિટર કેરોસીન એક જ વખત મેળવી શકશે. જો કે કેરોસીન મેળવવા ઈચ્છતા લોકો માટે NIC દ્વારા ઓનલાઈન URL: https://ipds.gujarat.gov.in/ પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. જે-તે તાલુકા સ્તરેથી જ્યારે ઓછામાં ઓછા 12,000 લિટર (1 ટેન્કર લોડ) કેરોસીનની ઓનલાઈન માંગણી નોંધાશે, ત્યારે તાત્કાલિક અસરથી તે તાલુકાના નિયત કરેલા પેટ્રોલ પંપ પરથી વિતરણ શરૂ કરી દેવામાં આવશે. ટ્રાન્સપોર્ટેશન અને અન્ય આનુષંગિક ખર્ચાઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ભાવ નક્કી કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લામાં કેરોસીનનો ભાવ પ્રતિ લિટર ₹63.26 થી ₹64.07 ની વચ્ચે રહેશે. આ 6 પેટ્રોલ પંપ પર મળશે કેરોસીન ચૂલા સળગે છે, તેવા વિસ્તારો બાકાત રખાયા કચ્છ જિલ્લામાં 6 તાલુકાઓમાં કેરોસીન વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, પરંતુ આયોજનની કમનસીબી એ છે કે જેમાં અબડાસા, લખપત અને માંડવી શહેરનો સમાવેશ જ કરાયો નથી. આ એવા વિસ્તારો છે જ્યાં ગરીબી અને અંતરિયાળ ભૂગોળને કારણે હજુ પણ હજારો ગૃહિણીઓ ધુમાડાથી ભરેલા ચૂલા પર રસોઈ બનાવે છે. સરકારની ‘ઉજ્જવલા’ યોજનાના અજવાળા હજુ આ સરહદી ગામડાં સુધી પહોંચ્યા નથી. જ્યારે સૌથી વધુ જરૂરિયાત અહીંના અંતરિયાળ વિસ્તારના લોકો અને માલધારીઓને છે, ત્યારે તેમને જ આ યોજનાથી બાકાત રાખવામાં આવતા તંત્રની નીતિ સામે સવાલો ઉઠ્યા છે.
Read Original Article →