સિટી એન્કર:સરકારી અંધશાળા અસુરક્ષિત જાહેર છતાં ચાલુ, વૈકલ્પિક વ્યવસ્થામાં વિલંબ
શહેરમાં આવેલી અને કચ્છની સૌથી જૂની શૈક્ષણિક સંસ્થાઓમાંની એક સરકારી અંધશાળાને થોડા સમય પહેલા જ અસુરક્ષિત જાહેર કરવામાં આવી છે. ઓકટોબર માસથી શાળાને અસુરક્ષિત જાહેર કરાઈ હોવા છતાં મહિનાઓ વ્યા ગયા, છતાં શાળા તરફથી સમયસર કોઈ વૈકલ્પિક વ્યવસ્થા શોધવામાં આવી ન હતી. અસુરક્ષિત જાહેર થયા બાદ પણ ધોરણ 1થી 8માં અભ્યાસ કરતા અંદાજે 10 દ્રષ્ટિબાધિત બાળકોનું શિક્ષણ એ જ પરિસરમાં ચાલુ રખાયું હતું. હાલમાં શાળા દ્વારા નવું ભાડે મકાન શોધવાની પ્રક્રિયા ચાલી રહી છે. આવનાર સત્ર શરૂ થાય તે પહેલાં જો શાળાને યોગ્ય નવું મકાન મળી જશે તો બાળકોનો અભ્યાસ ત્યાં ચાલુ રાખવામાં આવશે, નહિતર તંત્ર દ્વારા તેમને અન્ય સંસ્થાઓમાં ખસેડવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. જોકે પ્રશ્ન એ છે કે ઓકટોબરથી અસુરક્ષિત જાહેર થયા પછી આ પ્રક્રિયા તરત શરૂ કેમ ન થઈ અથવા જાહેર થાય એ પહેલા કોઈ વૈકલ્પિક વયસ્થા કેમ કરવામાં ન આવી. મૂળ મહત્વનું એ છે કે કચ્છની આ ઐતિહાસિક શાળા ભૂકંપ જેવી આપત્તિનો સામનો કરી ચૂકી છે અને વર્ષો સુધી દ્રષ્ટિબાધિત બાળકોને શિક્ષણ આપતી આવી છે. પરંતુ આવી જૂની અને મહત્વપૂર્ણ સંસ્થા જો બંધ થવાની નોબતે આવીને પહોંચી આવે તો તે માત્ર એક શાળાની નહીં, પરંતુ સમગ્ર કચ્છ માટે મોટી ખોટ સાબિત થશે. હાલ 7 છાત્રોનો અભ્યાસ, ટૂંક સમયમાં વિકલ્પ ઉપલબ્ધ થઈ જશે
આ શૈક્ષણિક સત્ર દરમિયાન શાળામાં કુલ 10 બાળકો અભ્યાસ કરતાં હતા. જેમાંથી ધોરણ 8 પૂર્ણ કરીને 3 બાળકો શાળા છોડીને આગળ અભ્યાસ અર્થે નીકળી ગયા છે. હાલમાં શાળામાં આશરે 7 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. હાલમાં શાળાના વિકલ્પની શોધ ચાલી રહી છે થોડા સમયમાં વ્યવસ્થા કરાશે. > જે.આર.પટેલ ( આચાર્ય, સરકારી અંધશાળા) છાત્રોના શિક્ષણને પલેલા પ્રાથમિકતા, નવું સ્થળ શોધાય છે : એસ.ડી.ઓ
શાળા માટે નવા મકાનની શોધ ચાલે છે, મકાન મળતાં જ આવતા શૈક્ષણિક સત્રથી બાળકોના માટે વ્યવસ્થા કરાશે. જો સમયસર શક્ય નહીં બને તો બાળકોના શિક્ષણમાં કોઈ વિક્ષેપ ન આવે તે માટે તેમને અન્ય સંસ્થાઓમાં સ્થાનાંતરિત કરવાની પણ વ્યવસ્થા કરાશે. > દશરથભાઈ દેસાઈ (એસ.ડી.ઓ) કચ્છની પ્રથમ અંધશાળાનો પાયો 1937માં વાંઢાયથી શરૂ થયો હતો
કચ્છમાં સૌપ્રથમ અંધશાળા ઓધવરામજી મહારાજે 1937માં વાંઢાય ખાતે શરૂ કરી હતી, શરૂઆતમાં માત્ર 3 છાત્રો હોવાથી થોડા સમય બાદ શાળા બંધ થઈ હતી. 1951માં સરકારી ધોરણે શાળાને પુનઃ શરૂ કરાઈ. 1961-62માં અંધશાળાને વાંઢાયથી ભુજ ખસેડાઈ, શરૂઆતમાં પારસી રૂસ્તમજી બાવાના મકાનમાં અને ત્યારબાદ નાગરિક સોસાયટીમાં શાળા કાર્યરત રહી. ઓગસ્ટ 2020 સુધીમાં શાળામાંથી 344 દ્રષ્ટિબાધિત છાત્રો, અભ્યાસ પૂર્ણ કરી સરકારી તથા અન્ય ક્ષેત્રોમાં રોજગાર મેળવી સ્થાયી થયા છે.
Read Original Article →