NW-48 પ્રોજેક્ટને સાકાર કરવા માટે કવાયત તેજ બની:કચ્છથી રાજસ્થાન સુધીના નેશનલ વોટરવે માટે કવાયત
રાજસ્થાન અને કચ્છ વચ્ચે સીધી જળમાર્ગ કનેક્ટિવિટી ઊભી કરતા મહત્વાકાંક્ષી ‘જવાઈ-લૂણી-કચ્છનું રણ નેશનલ વોટરવે (NW-48)’ પ્રોજેક્ટને સાકાર કરવા માટે કવાયત તેજ બની છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ મુખ્યમંત્રી કાર્યાલય ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સંબંધિત અધિકારીઓને આ વોટરવેનો ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ નિર્ધારિત સમયમર્યાદામાં તૈયાર કરવા માટે સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે. આ બેઠકમાં મુખ્યમંત્રી શર્માએ જણાવ્યું હતું કે, ઉદ્યોગોને કાર્ગો પરિવહન અને નિકાસ માટે સસ્તી વોટરવે કનેક્ટિવિટી પૂરી પાડવી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને IIT મદ્રાસને આ પ્રોજેક્ટના ટેકનિકલ-નાણાકીય પાસાઓનું સઘન મૂલ્યાંકન કરવા અને જહાજોના અંદાજિત ટ્રાફિક અંગેનો તુલનાત્મક અભ્યાસ રિપોર્ટ તૈયાર કરવા જણાવ્યું છે. અત્રે નોંધનીય છે કે, 24 ઓક્ટોબર 2025 ના રોજ આ પ્રોજેક્ટ સંદર્ભે રાજસ્થાન સરકાર અને IWAI વચ્ચે MoU સાઈન કરવામાં આવ્યા હતા. બેઠકમાં IIT મદ્રાસના પ્રોફેસર કે. મુરલીએ DPR ની તૈયારીઓ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું હતું.નેશનલ વોટરવે-48 કાર્યરત થવાથી કચ્છના રણ મારફતે અરબી સમુદ્ર સુધી કાર્ગોની નિર્બાધ હેરફેર વાસ્તવિકતા બનશે. રાજસ્થાનમાં પણ સ્થપાશે ‘NTCPWC’ સેન્ટર
આ બેઠકમાં નેશનલ વોટરવે-48 ની સાથે સાથે રાજ્યમાં પ્રસ્તાવિત ‘નેશનલ ટેકનોલોજી સેન્ટર ફોર પોર્ટ્સ, વોટરવેઝ એન્ડ કોસ્ટ્સના નિર્માણ અંગે પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી. ભારત સરકારના બંદર અને જળમાર્ગ મંત્રાલય હેઠળ ‘સાગરમાલા પ્રોજેક્ટ’ અન્વયે IIT મદ્રાસ ખાતે કાર્યરત આ સેન્ટરની એક શાખા રાજસ્થાનમાં પણ પ્રસ્તાવિત છે. આ સેન્ટર NW-48 પ્રોજેક્ટ માટે જરૂરી ટેકનિકલ માર્ગદર્શન આપશે. જહાજો કેટલી સરળતાથી ચાલી શકશે, પાણીનું સ્તર કેવું રહેશે અને પર્યાવરણને શું અસર થશે તે તમામ ટેકનિકલ માપદંડો નક્કી કરવાનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવશે. કચ્છ અને ગુજરાત માટે પ્રોજેક્ટનું મહત્વ
નેશનલ વોટરવે-48 કાર્યરત થવાથી કચ્છના રણ મારફતે અરબી સમુદ્ર સુધી કાર્ગોની નિર્બાધ હેરફેર વાસ્તવિકતા બનશે. આ જળમાર્ગ પેટ્રોકેમિકલ્સ, ખનિજ, સિમેન્ટ, રસાયણો અને અન્ય ઔદ્યોગિક માલસામાનના નિકાસ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તેનાથી પરિવહન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે અને વ્યાપારી ગતિવિધિઓને નવો વેગ મળશે, જે બંને રાજ્યોના વિકાસનો મજબૂત આધારસ્તંભ બની રહેશે.
Read Original Article →