ગાંધીધામમાં વિકાસ કાર્યો ધીમી ગતિએ:વેપારીઓમાં ભારે નારાજગી, બજારો બંધ કરીને વિરોધ કરવાની ચીમકી
કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામ શહેરમાં વિકાસના કામોની ધીમી ગતિને કારણે વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય બજાર સહિત વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસ કાર્યો કાચબા ગતિએ આગળ વધી રહ્યા છે. વેપારી મંડળે શહેરની કથળતી હાલત અને ભ્રષ્ટાચારના મુદ્દે મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે. ગાંધીધામ-આદિપુરમાં જ્યાં પણ ખોદકામ કે કામગીરી શરૂ કરવામાં આવી છે, તે મહિનાઓથી અધૂરી પડી છે, જેના કારણે વેપારીઓ અને નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ગાંધીધામ વેપારી મંડળના પ્રમુખ રાજુ ચંદનાનીએ વહીવટી તંત્ર, અધિકારીઓ અને કાઉન્સિલરો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે નવા ચૂંટાયેલા કાઉન્સિલરોમાંથી તેજસ શેઠ સિવાય કોઈ પ્રજાની વચ્ચે દેખાતું નથી. ચોમાસું માથે હોવાથી જો કોઈ નિર્દોષ નાગરિકને નુકસાન કે જાનહાનિ થશે તો તેની જવાબદારી કોની રહેશે તેવો પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો હતો. અધૂરા કામોને કારણે વરસાદમાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે. ચંદનાનીએ વધુમાં ચીમકી ઉચ્ચારી હતી કે, જો આગામી દિવસોમાં વિકાસની કામગીરી ઝડપી નહીં કરવામાં આવે તો, ગાંધીધામના બજારો બંધ કરીને વિરોધ કરવામાં આવશે.
Read Original Article →