ઘઉંની ધીમી ખરીદીથી જગતનો તાત ભારે પરેશાન.:વંથલી માર્કેટિંગ યાર્ડમાં તંત્રની અણઘડતા અને બારદાનની અછતને લીધે ઘઉંની ખરીદી ખોરવાતા ખેડૂતો મુશ્કેલીમાં; વરસાદના ભયથી સસ્તા ભાવે વેચવા મજબૂર.
વંથલી તાલુકા માર્કેટિંગ યાર્ડમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઘઉંની સરકારી ખરીદીની ધીમી પ્રક્રિયા અને વહીવટી અણઘડતાના કારણે સ્થાનિક ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર દ્વારા અંદાજે બે-અઢી મહિના પહેલાં ખેડૂતોના ઘઉંની ખરીદી કરવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત અંતર્ગત વંથલી તાલુકામાંથી કુલ 1592 ખેડૂતોએ પોતાની ઘઉંની જણસી વેચવા માટે ઓનલાઈન નોંધણી કરાવી હતી. આ તમામ ખેડૂતો પાસેથી ઘઉં ખરીદવાની પ્રક્રિયા વંથલી માર્કેટિંગ યાર્ડમાં નિગમ દ્વારા છેલ્લા 40 દિવસથી ચલાવવામાં આવી રહી છે. ખોરાસા ગામના માજી સરપંચ મેરૂભાઈ ચાવડાએ ખરીદ કેન્દ્ર પરની વાસ્તવિકતા અંગે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે છેલ્લા 40 દિવસમાં તપાસ કરતા માત્ર 452 ખેડૂતોના જ ઘઉંની ખરીદી થઈ શકી છે અને હજી પણ 1150 જેટલા ખેડૂતો પોતાનો માલ વેચવા માટે બાકી છે. યાર્ડમાં સ્થળ પર તપાસ કરતા માલુમ પડ્યું કે દિવસ દરમિયાન માત્ર ત્રણ ખેડૂતોના ટ્રેક્ટરનો માલ તોલવામાં આવી રહ્યો છે. જો તંત્ર દ્વારા આ જ કચબા ગતિથી ખરીદી ચાલુ રાખવામાં આવશે તો આગામી જન્માષ્ટમી સુધી પણ આ પ્રક્રિયા પૂર્ણ થાય તેમ નથી. ખરીદ કેન્દ્રની ઓફિસમાં કોઈ જવાબદાર અધિકારી હાજર હોતા નથી અને પૂછપરછ કરવા છતાં કોઈ વ્યાજબી જવાબ મળતો નથી. ખેડૂતોને ફોન કરવાની મનાઈ કરી રૂબરૂ આવવા દબાણ કરાય છે પરંતુ રૂબરૂ આવતા ધક્કા ખાવા પડે છે જેના કારણે કંટાળીને ખેડૂતો ઓછા ભાવે બજારમાં ઘઉં વેચવા મજબૂર બન્યા છે. ધણફુલીયા ગામના ખેડૂત પરેશ ચાવડાએ ટેકનિકલ ખામીઓ અને તંત્રની લાપરવાહી સામે સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે યાર્ડ તરફથી ખેડૂતોને સમયસર મોબાઈલ મેસેજ મળતા નથી. જ્યારે ખેડૂતો પૂછવા આવે ત્યારે ગમે ત્યારે માલ લઈને આવવાનું કહેવાય છે અને માલ લઈને આવીએ ત્યારે મેસેજ બતાવવાનો આગ્રહ રાખવામાં આવે છે. ખેડૂતોના મોબાઈલ નંબર બ્લોક થઈ જવાને કારણે મેસેજ આવતા નથી જેના ઉકેલ માટે આચાર્ય ચોક સુધી ધક્કા ખાવા પડે છે. યાર્ડનો સ્ટાફ એકબીજા પર જવાબદારી ઢોળતો હોવાથી ખેડૂતોને કોનો સંપર્ક કરવો તેનો ખ્યાલ આવતો નથી. ખેડૂતોની માંગ છે કે જો સરકારે પૂરતો જથ્થો થઈ જવાથી માલ ન લેવો હોય તો સીધી ના પાડી દેવી જોઈએ જેથી કોઈ ખોટી હેરાનગતિ કે ફરિયાદ ઊભી ન થાય. આ સમગ્ર મામલે ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર હિતેશ સિસોદિયાએ જણાવ્યું હતું કે ખરીદી પ્રક્રિયા ગત તારીખ 1 મે 2026 થી શરૂ કરવામાં આવી હતી પરંતુ શરૂઆતના તબક્કામાં પૂરતા પ્રમાણમાં બારદાન ઉપલબ્ધ ન હોવાના કારણે ખરીદી વારંવાર અટકી ગઈ હતી. જો કે બે દિવસ પહેલાં જ વધુ 10,000 નવા બારદાન આવી ગયા હોવાથી હવે ખરીદી સુચારુ રૂપે ચાલુ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 1592 રજીસ્ટ્રેશનમાંથી 553 ખેડૂતોને મેસેજ મોકલી દેવાયા છે અને દરરોજના 100 થી 150 નવા મેસેજ મોકલવાનું આયોજન છે. તંત્રના દાવા મુજબ આગામી સોમવાર સુધીમાં બાકી રહેલા તમામ ખેડૂતોને મેસેજ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે અને આગામી 15 તારીખ સુધીમાં ઘઉંની તમામ ખરીદી પ્રક્રિયા આટોપી લેવામાં આવશે.
Read Original Article →