'ટાઈગરના રૂપમાં દુલ્હો તૈયાર છે, અમને દુલ્હનનો ઈંતજાર છે':સાસણમાં આયોજીત કાર્યક્રમમાં મોઢવાડિયાનું નિવેદન, ભારત એકમાત્ર દેશ જ્યાં પાંચ પ્રજાતિની બિગ કેટનું અસ્તિત્વ
સાસણગીરમાં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ (IBCA) સમિટ-2026ના પૂર્વાર્ધરૂપે લાયન કન્ઝર્વેશન અંગેની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.સાસણ ગીર ખાતે આયોજિત આ સમિટમાં નિષ્ણાતો દ્વારા બિલાડી કુળના વન્ય પ્રાણીઓના સંરક્ષણ તેમજ ખાસ ગિરના એશિયાટિક સિંહોના સંરક્ષણમાં જે સફળતા મળી છે, તેની સાફલ્ય ગાથા પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી. મોઢવાડિયાએ કેન્દ્રીય વનમંત્રીને અપીલ કરતા કહ્યું હતું કે, અમારે ત્યાં ટાઈગરના રૂપમાં દુલ્હો તૈયાર છે, દુલ્હનનો ઈંતજાર છે. વનવિભાગના પ્રયાસોના કારણે સિંહની વસતીમાં વધારો થયો- CM
મુખ્યમંત્રીએ કાર્યક્રમ ખુલ્લો મૂકતા જણાવ્યું હતું કે, એશિયાટિક લાયન અને ગીરના સાવજના જતન માટે કરવામાં આવેલા સફળ પ્રયાસોને પરિણામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો “વિકાસ ભી, વિરાસત ભી”નો મંત્ર સાકાર થયો છે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, વન્યજીવ સૃષ્ટિના સર્વાંગી વિકાસ માટે શરૂ કરાયેલો પ્રોજેક્ટ લાયન અત્યંત સફળ રહ્યો છે અને ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ વિશ્વને ભારતીય સંસ્કૃતિના “જીવમાં શિવ” અને “પૌધામાં પરમાત્મા”ના દર્શન કરાવશે. તેમણે ઉમેર્યું હતું કે વન વિભાગની બેસ્ટ પ્રેક્ટિસિસના કારણે સિંહોની વસ્તીમાં નોધપાત્ર વધારો થયો છે અને ઇકોલોજી સાથે ઇમોશન જોડીને સ્થાનિક અર્થતંત્રને વેગ આપવાનો અભિગમ ગુજરાતમાં ચરિતાર્થ થઈ રહ્યો છે. સિંહોની વસ્તી જે 1991માં 284 હતી તે વધીને આજે 891 જેટલી થઈ છે. બિલાડી કૂળની 7 મુખ્ય પ્રજાતિઓ પૈકી 5 પ્રજાતિઓનું ભારતમાં અસ્તિત્વ- કેન્દ્રીય વનમંત્રી
કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, ભારતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં પ્રકૃતિ પર્યાવરણ અને વન્યજીવનના સંરક્ષણ માટે નવું વિઝન આપ્યું છે. તેમણે માહિતી આપી હતી કે બિલાડી કુળની 7 મુખ્ય પ્રજાતિઓ પૈકી 5 પ્રજાતિઓ ભારતમાં અસ્તિત્વ ધરાવે છે તે દેશ માટે ગૌરવની બાબત છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં સિંહોની વસ્તી ઘટી રહી છે ત્યારે ગુજરાતમાં એશિયાઈ સિંહોની સંખ્યામાં 32 ટકાનો વધારો થયો છે જે સિંહ સંરક્ષણનું ઉત્કૃષ્ટ રોલ મોડલ પૂરું પાડે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વન્યજીવોના સુરક્ષિત વિચરણ માટે કોરિડોરનો વિકાસ અને આધુનિક અર્લી વોર્નિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, સાથે જ જૂનાગઢ ખાતે નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડલાઇફનું નિર્માણ કાર્ય પણ વેગમાં છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે મનુષ્ય દરેક વસ્તુનું સર્જન કરી શકે છે પરંતુ જીવનું નિર્માણ કરી શકતો નથી, તેથી જ પ્રકૃતિનું સંરક્ષણ આપણી પરમ ફરજ છે. બરડા અભ્યારણ્ય સિંહોનું બીજું કુદરતી રહેઠાણ બન્યું- અર્જુન મોઢવાડીયા
રાજ્યના વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતની ભૂમિ પર સિંહ અને દીપડાની સાથે હવે વાઘની હાજરી પણ જોવા મળી રહી છે, જે અંતર્ગત વાઘનો વસવાટ કાયમી બને તે દિશામાં વન વિભાગ સજ્જ છે. તેમણે માહિતી આપી હતી કે, બરડા અભયારણ્ય સિંહોનું બીજું કુદરતી રહેઠાણ બન્યું છે અને ત્યાં સિંહોની સંખ્યા વધીને 24 થઈ છે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વન્યજીવોના અકસ્માતો અટકાવવા માટે ગુજરાત સરકાર ટૂંક સમયમાં જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત અત્યાધુનિક 'કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ' અમલમાં મૂકશે અને કચ્છના બન્ની વિસ્તારને ચિત્તાના કુદરતી નિવાસસ્થાન તરીકે વિકસાવવામાં આવશે. તેમણે સૌરાષ્ટ્રની પ્રજાના સિંહો પ્રત્યેના સહઅસ્તિત્વની ભાવનાની પ્રશંસા કરતા કહ્યું હતું કે સ્થાનિક લોકો સિંહોની રક્ષા માટે હંમેશાં સક્રિય રહે છે. વિશ્વના 70 ટકાથી વધુ વાઘ ભારતમાં સુરક્ષિત- એસ.પી. યાદવ
IBCAના ડાયરેક્ટર જનરલ એસ.પી. યાદવે જણાવ્યું હતું કે સાત બિગ કેટ્સ—વાઘ, સિંહ, દીપડો, હિમ દીપડો, ચિત્તો, જેગુઆર અને પુમા—ના સંયુક્ત સંરક્ષણ માટે આ વૈશ્વિક મંચ તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં 5 પ્રજાતિઓ કુદરતી રીતે અસ્તિત્વ ધરાવે છે. તેમણે ગુજરાત સરકારના સિંહ સંરક્ષણ માટેના પ્રયાસો અને ખાસ કરીને ખુલ્લા કૂવાઓની આસપાસ પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે માહિતી આપી હતી કે સમગ્ર વિશ્વના 70 ટકાથી વધુ વાઘ ભારતમાં સુરક્ષિત છે અને દેશમાં વાઘની વસ્તી વાર્ષિક અંદાજે 6 ટકાના દરે વધી રહી છે. આ કાર્યક્રમ દરમિયાન સાસણની વન્યજીવ સૃષ્ટિના સંવર્ધનને લગતા બ્રોશરનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં 1 અને 2 જૂને દિલ્હીમાં આંતરરાષ્ટ્ર બિગકેટ એલાયન્સ શિખર સંમેલન યોજાશે
આગામી 1 અને 2 જૂન, 2026ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે પ્રથમ 'આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ શિખર સંમેલન' યોજાશે. આ મુખ્ય સમિટના પૂર્વાર્ધરૂપે દેશના વિવિધ રાજ્યોમાં અલગ-અલગ થીમ પર પ્રિ-ઈવેન્ટ્સ યોજવામાં આવશે. જેમાં ભોપાલમાં ચિતા સંરક્ષણ, ભુવનેશ્વરમાં દીપડા, ગેંગટોકમાં સ્નો લેપર્ડ અને મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘ સંરક્ષણ અંગેના ખાસ કાર્યક્રમો યોજાશે. આ વૈશ્વિક સમિટમાં વિવિધ દેશોના સત્તાવાહકો, વન્યજીવ નિષ્ણાંતો અને વૈજ્ઞાનિકો એકત્રિત થઈને વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે આધારસ્તંભ સમાન 'દિલ્હી ડેકલેરેશન' જાહેર કરશે. આ સાથે જ વન્યજીવોના હેલ્થ મેનેજમેન્ટ માટે વિશેષ પ્રોગ્રામ્સ અને યુવાનો માટે 'યુથ એમ્બેસેડર' જેવી ઇન્ટર્નશિપ યોજનાઓ પણ આગામી સમયમાં શરૂ કરવામાં આવશે.
Read Original Article →