વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીને લઇ સિવિલમાં તૈયારીઓ શરૂ:એક જ કેમ્પમાં 300 બોટલ રક્ત એકત્ર કરનાર સંસ્થાઓનું સન્માન
શહેરની સિવીલમાં 14 જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસ ઉજવાય છે. આ અંતર્ગત સિવિલ હોસ્પિટલ દ્વારા રક્તદાતાઓનો ઋણ સ્વીકાર કરી તૈયારીઓનો શુભ આરંભ કરાયો છે. હોસ્પિટલે એક જ કેમ્પમાં 300થી વધુ બોટલ રક્ત એકત્ર કરનાર ઓર્ગેનાઇઝર્સનો આભાર વ્યક્ત કર્યો છે. જૂનાગઢ શહેરની સિવિલ હોસ્પિટલનાં સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, પોરબંદર બાલા હનુમાન ખાતે હનુમાન જયંતી નિમિત્તે 319 બોટલ રક્ત મળ્યું હતું. આ ઉપરાંત, દીપકભાઈ ભાટુએ પિતાની પુણ્યતિથિએ પિતૃઋણ અદા કરી 500 બોટલ અને પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચાએ જન્મદિવસ નિમિત્તે 312 બોટલ રક્ત હોસ્પિટલને અર્પણ કર્યું હતું. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે ભગવતી ટાટા મોટર્સ દ્વારા 494 બોટલ, સરમણ બિલ્ડર્સ ગ્રુપ (નયનભાઈ મારુ) દ્વારા 451 બોટલ, આર.આર. ફાઉન્ડેશન રીબડા તરફથી 300 બોટલ તેમજ અભય ગ્રુપ અને ઓમ ગ્રુપ (જયેશભાઈ બોઘરા) દ્વારા 463 બોટલ રક્ત દાનમાં મળ્યું છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે,કેમ્પ દ્વારા એકત્રિત થયેલું તમામ રક્ત સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા થેલેસેમિયાગ્રસ્ત બાળકો, સગર્ભા માતાઓ-બહેનો અને તાત્કાલિક ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓ માટે સંજીવની સમાન સાબિત થશે.
Read Original Article →