જીગ્નેશ કવિરાજના લોકડાયરામાં કોથળો ભરીને રૂપિયા ઉડ્યા, VIDEO:માળિયા હાટીનાના ખંભાળિયામાં ડાયરાની રમઝટ વચ્ચે દોઢ કલાક રૂપિયાનો વરસાદ, માયાભાઈના દીકરાએ પણ બંડલ ઊડાવ્યા
જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ખંભાળિયા ગામે આહીર સમાજ અને પ્રયાગરાજ ગ્રુપ દ્વારા આયોજિત 'શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ' ભક્તિ, ભજન અને લોકસાહિત્યના અનોખા ત્રિવેણી સંગમ સાથે ધર્મમય બની રહ્યો છે. આ ભવ્ય ધાર્મિક મહોત્સવ દરમિયાન યોજાયેલા લોકગાયક જીગ્નેશ કવિરાજના ડાયરામાં ભક્તોએ કૃષ્ણ ભક્તિની રમઝટ વચ્ચે કલાકાર પર માયાભાઈ આહિરના દીકરા જયજરાજ આહીર સહિત અનેક લોકોએ રૂપિયાનો વરસાદ કરી ઉદારતાનો નવો ઈતિહાસ રચ્યો હતો. માળિયા હાટીના તાલુકાના ખંભાળિયા ગામે હાલ આહીર સમાજ અને પ્રયાગરાજ ગ્રુપ દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની ધર્મમય માહોલમાં ઉજવણી થઈ રહી છે. આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત યોજાયેલા રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લોકગાયક જીગ્નેશ કવિરાજનો ભવ્ય ડાયરો યોજાયો હતો. આ કાર્યક્રમમાં લોકસાહિત્ય અને ભક્તિના પ્રવાહ વચ્ચે લોકોએ કલાકાર પર અઢળક પ્રેમ વરસાવ્યો હતો. જીગ્નેશ કવિરાજ પર દોઢ કલાક સુધી પૈસાનો વરસાદ
ગઈકાલે રાત્રે યોજાયેલા આ ડાયરામાં જીગ્નેશ કવિરાજે કૃષ્ણ ભક્તિ અને ભજનોની એવી રમઝટ બોલાવી હતી કે, લોકો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. આ દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા જીગ્નેશ કવિરાજ પર સતત દોઢ કલાક સુધી રુપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે લોકોએ અહીં કોથળા ભરી ભરીને રુપિયા ઊડાવ્યા હતા, જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રની ઉદારતા અને સંતવાણી પ્રત્યેના પ્રેમના આ દ્રશ્યોએ એક નવો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપ્યો છે. દાનની રકમથી ગુજરાત આહીર સમાજ કન્યા છાત્રાલય ઊભુ કરાશે
આ ભવ્ય આયોજન માત્ર ધાર્મિકતા પૂરતું સીમિત નથી, પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વનો પણ સુંદર સમન્વય છે. સપ્તાહ દરમિયાન દાન સ્વરૂપે એકઠી થયેલી વધારાની તમામ રકમ અમદાવાદમાં આકાર લઈ રહેલી 'ગુજરાત આહીર સમાજ કન્યા છાત્રાલય'ના નિર્માણ માટે અર્પણ કરવામાં આવનાર છે. દીકરીઓના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે લેવાયેલા આ નિર્ણયની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે. આ સપ્તાહમાં 9મી તારીખે આહીર સમાજના આરાધ્ય દેવાયત બાપા બોદરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. કાળઝાળ ગરમી વચ્ચે પણ ભક્તોની સુવિધા માટે આયોજકોએ 150×300 ફૂટના વિશાળ ડોમમાં કુલર અને ફોગર ફુવારાની આધુનિક વ્યવસ્થા કરી છે. ભક્તિ, ભોજન અને ભજનના આ ત્રિવેણી સંગમમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.
Read Original Article →