જૂનાગઢમાં 'વર્લ્ડ નવકાર ડે' ની ભવ્ય ઉજવણી:વિશ્વ નવકાર દિવસ નિમિત્તે સમૂહ જાપ દ્વારા વૈશ્વિક શાંતિનો સંદેશ,રાગ-દ્વેષ વિજેતા અનંત સિદ્ધ આત્માઓને વંદન કરી વિશ્વ શાંતિ અને યુદ્ધ વિરામ માટે મંગલકામના

Gujarat4/9/2026, 9:04:05 AM
જૂનાગઢમાં 'વર્લ્ડ નવકાર ડે' ની ભવ્ય ઉજવણી:વિશ્વ નવકાર દિવસ નિમિત્તે સમૂહ જાપ દ્વારા વૈશ્વિક શાંતિનો સંદેશ,રાગ-દ્વેષ વિજેતા અનંત સિદ્ધ આત્માઓને વંદન કરી વિશ્વ શાંતિ અને યુદ્ધ વિરામ માટે મંગલકામના
​આજે સમગ્ર વિશ્વમાં જૈન સમુદાય દ્વારા 'વર્લ્ડ નવકાર ડે' એટલે કે વિશ્વ નવકાર દિવસની અત્યંત ઉત્સાહ અને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ પવિત્ર અવસરે જૂનાગઢ સહિત વિશ્વભરમાં વસતા લાખો જૈન ધર્મીઓ એકત્ર થઈને નવકાર મહામંત્રના સામૂહિક જાપ કરી રહ્યા છે. જૈન ધર્મ એ વ્યક્તિ પૂજાને બદલે ગુણ પૂજામાં માનનારો ધર્મ છે, જેમાં આત્માના ઉચ્ચ ગુણોને વંદન કરવામાં આવે છે. વર્તમાનમાં જ્યારે વિશ્વ યુદ્ધ અને અશાંતિના કપરા કાળમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે મંત્ર શક્તિ દ્વારા પરમાણુઓમાં હકારાત્મકતા ફેલાવી માનવજાતના કલ્યાણ અને કાયમી શાંતિ માટે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ​જૂનાગઢ જૈન સમાજના અગ્રણી હિતેશ સંઘવીએ આ પવિત્ર દિવસની મહત્તા સમજાવતા જણાવ્યું કે જૈન ધર્મ એ ગુણગ્રાહી ધર્મ છે. નવકાર મંત્રમાં કોઈ એક ચોક્કસ વ્યક્તિ કે ભગવાનની વાત નથી, પરંતુ એવા તમામ મહાપુરુષોને વંદન કરવામાં આવે છે જેમણે પોતાના આંતરિક શત્રુઓ—રાગ અને દ્વેષ—પર પૂર્ણ વિજય મેળવ્યો છે. મંત્રના પ્રથમ પદ 'નમો અરિહંતાણં' નો અર્થ છે કે જે આત્માઓએ આત્મવિજય મેળવ્યો છે તે તમામ આદરણીય છે, પછી તે શ્રી રામ, શ્રી કૃષ્ણ કે ભગવાન શિવ હોય. આ મંત્રની વ્યાપકતા જ તેની સૌથી મોટી શક્તિ છે, જે કોઈપણ ભેદભાવ વગર માત્ર સિદ્ધિ અને પવિત્રતાને નમસ્કાર કરે છે. ​નવકાર મંત્રના બીજા પદ 'નમો સિદ્ધાણં' વિશે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે આમાં માત્ર મહાવીર સ્વામી જ નહીં, પરંતુ અનંત આત્માઓ જેઓ સંસારના બંધનોમાંથી મુક્ત થઈ સિદ્ધ થયા છે, તે દરેકને નમસ્કાર કરવામાં આવ્યા છે. જૈન દર્શન મુજબ મંત્રના પાંચ પદો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યમાં થઈ ગયેલા તમામ ગુણવાન પુરુષોને વંદન કરવાનો એક પવિત્ર અવસર પૂરો પાડે છે. આ મંત્રના જાપથી માત્ર વ્યક્તિગત શાંતિ જ નહીં, પરંતુ વાતાવરણમાં શુદ્ધિનો સંચાર થાય છે, જે આજના અશાંત યુગમાં અત્યંત અનિવાર્ય છે. ​વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણ માટે મંગલ ભાવના ​આજના સમયમાં જ્યારે દુનિયા ભયાનક સંઘર્ષો અને યુદ્ધોની પીડા ભોગવી રહી છે, ત્યારે નવકાર મંત્રના જાપ એક આશાનું કિરણ બનીને ઉભર્યા છે. મંત્ર શક્તિના પ્રભાવ અને તેની સકારાત્મક ઉર્જાથી જ કદાચ વર્તમાન યુદ્ધોમાં આંશિક વિરામ આવ્યો હોય તેવી શ્રદ્ધા જૈન સમાજ ધરાવે છે. લાખો નિર્દોષ લોકોના જીવ બચે અને પેટ્રોલ-ડીઝલ જેવી પાયાની જરૂરિયાતોની અછતથી સર્જાતી મોંઘવારી તેમજ પીડા ઓછી થાય તે માટે આ જાપ અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. 15 દિવસનો જે યુદ્ધ વિરામ થયો છે તે માત્ર હંગામી ન રહેતા કાયમી શાંતિમાં ફેરવાય તેવી ઉમદા ભાવના આ આયોજન પાછળ રહેલી છે. ​જૂનાગઢમાં પણ આ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા જલારામ સોસાયટી ઉપાશ્રય ખાતે સમૂહમાં નવકાર મહામંત્રના જાપનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ શુદ્ધ ભાવનાથી મંત્ર જાપ કર્યા હતા,આ આયોજનનો મુખ્ય હેતુ મંત્રના પવિત્ર પરમાણુઓ દ્વારા સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના ફેલાવવાનો છે.
Read Original Article →