જૂનાગઢમાં ગુંજ્યો નારો, ક્ષયમુક્ત ભારત અભિયાન:કૃષિ યુનિવર્સિટી અને મનપાના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓએ લીધો ટીબી નિર્મૂલનનો મક્કમ સંકલ્પ
"યસ! વી કેન એન્ડ ટી.બી.: લેડ બાય ભારત, પાવર્ડ બાય જનભાગીદારી" ના બુલંદ નારા સાથે જૂનાગઢમાં વિશ્વ ક્ષયરોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી. જૂનાગઢ મહાનગરપાલિકા અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં ટીબી મુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવા વિદ્યાર્થીઓ અને વહીવટી તંત્રએ એકસૂરે હાકલ કરી હતી. 24 માર્ચ 2026ના રોજ કૃષિ મહાવિદ્યાલયના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ટીબીના જીવાણુની શોધના 144માં વર્ષ નિમિત્તે વૈજ્ઞાનિક રોબર્ટ કોચના પ્રદાનને પણ યાદ કરવામાં આવ્યું હતું. નિષ્ણાતો દ્વારા ટીબી અંગે ગહન માર્ગદર્શન
કાર્યક્રમના પ્રારંભમાં આર.એમ. સોલંકીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સિટી ટીબી ઓફિસર ડૉ. પી.એસ. પ્રકાશે ક્ષયરોગના ઇતિહાસ, લક્ષણો અને આધુનિક તપાસ પદ્ધતિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે વિશ્વભરમાં દર વર્ષે આશરે 10.6 મિલિયન લોકો આ રોગનો શિકાર બને છે. ટીબીના 'લેટન્ટ' અને 'એક્ટિવ' પ્રકારો સમજાવતા તેમણે TrueNat જેવી ટેકનોલોજી અને DOTS સારવાર પદ્ધતિના મહત્વ પર ભાર મૂક્યો હતો. જનભાગીદારીથી જ શક્ય છે ટીબીનું નિર્મૂલન
મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત મ્યુનિસિપલ કમિશનર તેજસ ડી. પરમારે વિદ્યાર્થીઓને આ અભિયાનમાં સક્રિયપણે જોડાવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે સર્વેક્ષણ અને જાગૃતિ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓની ભાગીદારી સિટી ટીબી સેન્ટર માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સરકાર દ્વારા ચાલતા 'નિક્ષય મિત્ર' અભિયાન હેઠળ મળતી નિઃશુલ્ક સારવાર અને 6 થી 9 મહિનાની સારવાર પ્રક્રિયા અંગે પણ તેમણે મહત્વની વિગતો આપી હતી. સ્વચ્છતા અને જવાબદારીભર્યું વર્તન
અધ્યક્ષ સ્થાનેથી કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયાએ જણાવ્યું કે જાહેર સ્થળોએ થૂંકવા જેવી આદતો સંક્રમણ ફેલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. સ્વચ્છતા અને જવાબદારીભર્યા વર્તન દ્વારા જ આપણે આ રોગને રોકી શકીશું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર હાજરી આપી ટીબી જાગૃતિનો સંકલ્પ કર્યો હતો. નોંધનીય છે કે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ આગામી 100 દિવસ સુધી વિવિધ જાગૃતિ કાર્યક્રમો ચાલુ રહેશે. આ પ્રસંગે પી.એસ. પ્રકાશ, આર.એમ. સોલંકી, પી.ડી. કુમાવત અને એલ.સી. વેકરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધિ પી.ડી. કુમાવત દ્વારા કરવામાં આવી હતી.
Read Original Article →