જૂનાગઢ મનપા સામાન્ય સભા::વિપક્ષનો રોડ,ઓડિટ અને વીમા મુદ્દે હંગામો,કોર્પોરેટર પ્રવીણ વાઘેલાના વર્તન સામે વિપક્ષનો વિરોધ, જનતા માટે અકસ્માત વીમો ઉતારવા લલિત પરસાણાની માંગ
જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય સભાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિકાસકાર્યોની સમીક્ષા અને પ્રજાકીય પ્રશ્નોની ચર્ચાઓને કરવામાં આવી હતી.સભામાં શહેરના વર્ષો જૂના શોપિંગ સેન્ટરના પ્રશ્નનો સુખદ ઉકેલ લાવી આગામી બે માસમાં કબજો આપવાની ખાતરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, શહેરમાં ચાલી રહેલા રોડ-રસ્તાના કામો અને ભૂગર્ભ ગટરની કામગીરીમાં રાજકીય પક્ષપાત રાખ્યા વગર ઝડપ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બીજી તરફ, વહીવટી પારદર્શિતાના મુદ્દે હિસાબોમાં જોવા મળતી વિસંગતતા અને પેન્ડિંગ ઓડિટ બાબતે વિપક્ષ દ્વારા શાસક પક્ષ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા . તેમજ ચોમાસા પૂર્વેની તૈયારીઓ જેવી કે વોકળા સફાઈ અને ઝર્ઝરિત ઇમારતોને નોટિસ આપવાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.જોકે ચર્ચા દરમિયાન પક્ષ વિપક્ષ સભ્યો વચ્ચેના વાકયુદ્ધને કારણે બોર્ડની ગરિમા જાળવવા બાબતે પણ ઘર્ષણ જોવા મળ્યું હતું.બોર્ડમાં શહેરના વિકાસકામો, ભ્રષ્ટાચારના આક્ષેપો અને વિપક્ષ દ્વારા જનતાની સુરક્ષા માટે મુકવામાં આવેલી અકસ્માત વીમાની દરખાસ્તને લઈને ભારે ગરમાવો જોવા મળ્યો હતો. બોર્ડની ગરિમા અને કોર્પોરેટર પ્રવીણ વાઘેલાનો મુદ્દો સામાન્ય સભા દરમિયાન વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પરસાણાએ શાસક પક્ષના કોર્પોરેટર પ્રવીણભાઈ વાઘેલાના વર્તન સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે પ્રવીણભાઈ વાઘેલા દરેક સામાન્ય સભામાં બોર્ડની ગરિમા જાળવતા નથી અને અધ્યક્ષની મંજૂરી વગર વારંવાર વચ્ચે બોલીને વિક્ષેપ પાડે છે. વિપક્ષે જણાવ્યું કે જ્યારે જનહિતના ગંભીર મુદ્દાઓ પર ચર્ચા ચાલતી હોય ત્યારે આવી દખલગીરીથી મૂળ મુદ્દાઓ ભટકી જાય છે. બીજી તરફ, શાસક પક્ષના નેતા મનન અભાણીએ બચાવ કરતા કહ્યું હતું કે, પ્રવીણભાઈએ તેમના વોર્ડની સાચી માહિતી આપવા અને વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવતી ખોટી વિગતો રોકવા માટે મધ્યસ્થી કરી હતી. જનતા માટે સામૂહિક અકસ્માત વીમાની માંગ વિપક્ષી નેતા લલિતભાઈ પરસાણાએ જૂનાગઢની જનતા માટે એક મહત્વની માંગણી કરતા જણાવ્યું કે શહેરમાં ખરાબ રસ્તા, ખુલ્લા ખાડા અને ઝર્ઝરિત ઇમારતોને કારણે અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. જે નાગરિકો નિયમિત ટેક્સ ભરે છે, તેમની સુરક્ષાની જવાબદારી મહાનગરપાલિકાની છે. તેમણે દરખાસ્ત મૂકી હતી કે મનપાની બેદરકારીને કારણે થતા અકસ્માતોમાં લોકોને આર્થિક વળતર મળી રહે તે માટે મનપાએ 'બલ્ક અકસ્માત વીમો' ઉતારવો જોઈએ. આ પ્રકારના વીમાથી મોંઘવારીના સમયમાં ઈજાગ્રસ્ત નાગરિકોને મોટી રાહત મળી શકે તેમ છે. જોષીપુરા શોપિંગ સેન્ટરનો ઉકેલ અને રોડ-રસ્તાની કામગીરી શાસક પક્ષના નેતા મનન અભાણીએ જણાવ્યું હતું કે આ સભામાં જોષીપુરા માઈક્રો શોપિંગ સેન્ટરનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલી દેવામાં આવ્યો છે અને આગામી બે માસમાં વેપારીઓને દુકાનનો કબજો મળી જશે. શહેરમાં ચાલતી રોડ-રસ્તાની કામગીરી અંગે તેમણે સ્પષ્ટતા કરી કે જ્યાં ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થયું છે ત્યાં નવા રસ્તા બનાવવાનું શરૂ કરી દેવાયું છે. વિપક્ષ દ્વારા "માત્ર ભાજપ કાર્યાલય પાસે જ રોડ બને છે" તેવા આક્ષેપને ફગાવતા તેમણે કહ્યું કે જોષીપુરાથી શાંતેશ્વર સુધીનો આખો મુખ્ય માર્ગ બની રહ્યો છે, જેમાં કોઈ રાજકીય પક્ષપાત રાખવામાં આવ્યો નથી. ઓડિટમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વિરોધ પક્ષ દ્વારા મનપાના હિસાબોમાં મોટી વિસંગતતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. લલિતભાઈ પરસાણાએ જણાવ્યું કે હાઉસ ટેક્સ અને એકાઉન્ટ શાખાના આંકડાઓમાં 20 લાખથી લઈ 1 કરોડ રૂપિયા સુધીનો તફાવત જોવા મળે છે. છેલ્લા ત્રણ વર્ષથી મનપાનું ઓડિટ થયું નથી, જેને કારણે મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની ભીતિ છે. આ બાબતે નાણા વિભાગને પણ પત્ર લખીને તાત્કાલિક તપાસની માંગણી કરવામાં આવી છે. ડિજિટલ ઇન્ડિયાના યુગમાં પણ વાઉચર અને રકમનો મેળ ન ખાતો હોવો તે ગંભીર બાબત છે. ચોમાસા પૂર્વેની તૈયારીઓ અને ઝર્ઝરિત ઇમારતો આગામી ચોમાસાને ધ્યાને રાખીને પ્રી-મોન્સૂન કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા વિપક્ષે આગ્રહ કર્યો હતો. કાળવા સહિતના મુખ્ય વોકડાઓની સફાઈ અને અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે આગોતરું આયોજન કરવા સૂચના અપાઈ હતી. તાજેતરમાં કડિયાવાડ વિસ્તારમાં મકાનનો રવેશ પડતા મહિલાને થયેલી ઈજા અંગે મનપાએ દુઃખ વ્યક્ત કર્યું હતું. આવી જોખમી ઇમારતોના માલિકોને 5 દિવસની અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે અને જો મરામત નહીં કરવામાં આવે તો મનપા દ્વારા કડક હાથે કાર્યવાહી કરી જોખમી ભાગ ઉતારી લેવામાં આવશે. જૂનાગઢ મનપાનું આ જનરલ બોર્ડ વિકાસના દાવા અને ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે અત્યંત તોફાની રહ્યું હતું. શાસકોએ વર્ષો જૂના પ્રશ્નો ઉકેલવાનો દાવો કર્યો હતો, જ્યારે વિપક્ષે જનતાની સુરક્ષા અને હિસાબી પારદર્શિતાના મુદ્દે તંત્રને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
Read Original Article →