પ્રિ-મોન્સનૂને લઈ વિપક્ષે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર:મનપાના વહીવટ સામે વિપક્ષી નેતા લલિત પરસાણાનો મોરચો, જનતાની સમસ્યાઓ માટે શાસકોને ઘેર્યાં
જૂનાગઢ મહાનગરપાલિકાને અસ્તિત્વમાં આવ્યાને 20 વર્ષથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ જનતા પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં રોડ, રસ્તા, ગટર અને પાણીની સમસ્યાઓને લઈ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ચોમાસાનો સમય એકદમ નજીક છે, ત્યારે હજુ સુધી મહાનગરપાલિકા દ્વારા કોઈ પ્રકારની સંતોષકારક પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરવામાં ન આવી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. જે કામગીરી મનપાના શાસક પક્ષોએ અને વહીવટી તંત્રએ સમયસર કરવાની હોય, તેમાં નિષ્ફળતા મળતા આખરે વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ મોરચો સંભાળી લીધો છે.
ચોમાસા દરમિયાન અને તે પહેલાં જનતાને પડતી મુશ્કેલીઓના વહેલી તકે નિવારણ માટે વિરોધ પક્ષ દ્વારા એક ખાસ ડિજિટલ હેલ્પલાઇન નંબર 7211180016 શરૂ કરવામાં આવ્યો છે. આ વોટ્સએપ નંબર પર મહાનગરપાલિકા હદ વિસ્તારની પ્રાથમિક સુવિધા, પ્રિ-મોન્સુન કામગીરી અને અન્ય સ્થાનિક સમસ્યાઓ માટે જનતા પોતાની ફરિયાદ સીધી મોકલી શકશે. આ ફરિયાદો એકઠી કરીને વિરોધ પક્ષ વહેલી તકે તેનું યોગ્ય નિવારણ લાવવા પ્રયાસો કરવામાં આવશે. 'શહેરમાં રસ્તાઓ આડેધડ ખોદી દેવામાં આવ્યા'
આ સમગ્ર મામલે જૂનાગઢ મનપાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ જણાવ્યું હતું કે, ચોમાસું માથા પર હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલાની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી નથી. સામાન્ય રીતે 15 કે 16 જૂન સુધીમાં રોડ-રસ્તા, ગટરની સફાઈ અને વોકળા સફાઈની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ કરવાની હોય છે, પરંતુ અહીં બધું અધૂરું જોવા મળી રહ્યું છે. શહેરના ચારેય બાજુના રસ્તાઓ આડેધડ ખોદીને મૂકી દેવામાં આવ્યા છે અને બીજી તરફ ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી મુખ્ય રસ્તાઓ બંધ પડ્યા છે. 'ચોમાસામાં ભયાનક પરિસ્થિતિ સર્જાવાની પૂરેપૂરી ભીતિ'
લલિત પરસાણાએ વધુમાં જણાવ્યું હતું કે, ઝાંઝરડા રોડ અને જોશીપુરાના બે મુખ્ય ગરનાળાઓમાં દર ચોમાસે પાણી ભરાઈ જાય છે. ગયા ચોમાસે પણ સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામને કરવો પડ્યો હતો અને આ વખતે પણ વહીવટી તંત્રની આવી જ ઢીલી નીતિના કારણે એ જ ભયાનક પરિસ્થિતિ સર્જાવાની પૂરેપૂરી ભીતિ છે. નિયમ મુજબ પ્રિ-મોન્સૂન કામગીરી હેઠળ અત્યાર સુધીમાં મનપાનો અલાયદો કંટ્રોલ રૂમ શરૂ થઈ જવો જોઈતો હતો, જે હજી સુધી શરૂ કરવામાં આવ્યો નથી. જનતાની ફરિયાદ કે સમસ્યાનું નિરાકરણ લાવશે વિપક્ષ
વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, અમે આ વોટ્સએપના માધ્યમથી એક નંબર જાહેર કરીએ છીએ. જનતાને ચોમાસા દરમિયાન કોઈ પણ તકલીફ હોય, અથવા કોર્પોરેશનમાં લેખિત અરજી કરવા છતાં કામ ન થયું હોય, તો તે અરજી અને તેની વિગતો અમને આ નંબર પર ફોરવર્ડ કરે. આ તમામ વિગતો અને ફરિયાદો મળ્યા બાદ વિરોધ પક્ષ સીધા જ મ્યુનિસિપલ કમિશનરશ્રી અને શાસક પક્ષ સમક્ષ ઉગ્ર રજૂઆત કરશે અને જનતાની મુશ્કેલીઓ વહેલી તકે દૂર કરવા માટેના તમામ પ્રયાસો કરશે.
Read Original Article →