જૂનાગઢના ધારાસભ્ય EV અને જાહેર પરિવહન તરફ વળ્યા:PM મોદીની અપીલ બાદ સંજય કોરડીયાએ પેટ્રોલ-ડીઝલના વાહનોનો ત્યાગ કર્યો, પર્યાવરણ અને દેશહિતમાં દ્રઢ સંકલ્પ
વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 મેના રોજ રાષ્ટ્રને અનેક અપીલો કરી હતી. તેમણે લોકોને આગામી વર્ષ માટે સોનું ન ખરીદવા, પેટ્રોલ-ડીઝલ અને રસોઈ તેલનો વપરાશ ઘટાડવા તેમજ વિદેશ યાત્રા મુલતવી રાખવા પણ વિનંતી કરી હતી, ત્યારે જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિવેદનને આવકારી બિનજરૂરી પેટ્રોલ-ડીઝલના વાહનનો વપરાશ ન કરવા સંકલ્પ કર્યો છે. 'હું માત્ર ઈલેક્ટ્રિક વાહનનો જ ઉપયોગ કરીશ'
સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે, હું આજથી સંકલ્પ કરું છું કે પેટ્રોલ અને ડીઝલના વાહનોનો બને ત્યાં સુધી ઉપયોગ નહીં કરું. જ્યાં જરૂર નહીં હોય ત્યાં સુધી હું મારા ખાનગી પેટ્રોલ-ડીઝલ સંચાલિત વાહનોને ટાળીશ. તેના બદલે, હું બને ત્યાં સુધી સરકારી પરિવહન જેવા કે ટ્રેન, બસ અને પ્લેનનો મહત્તમ ઉપયોગ કરીશ. મુસાફરી માટે જ્યાં પણ શક્ય હશે ત્યાં હું માત્ર ઈલેક્ટ્રિક વાહનો (EV) નો જ ઉપયોગ કરીશ, જેથી કરીને પર્યાવરણની સુરક્ષા અને પ્રદૂષણ નિયંત્રણમાં સહભાગી થઈ શકાય. 'ઈલેક્ટ્રિક વાહનોના વપરાશથી પ્રદૂષણમાં ઘટાડો લાવી શકાશે'
આ સંકલ્પ પાછળના મુખ્ય ઉદ્દેશ્ય અંગે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું હતું કે, આ પગલાથી ભારત દ્વારા વિદેશથી આયાત કરવામાં આવતા પેટ્રોલ અને ડીઝલ પાછળ ખર્ચાતું દેશનું કિંમતી વિદેશી હૂંડિયામણ બચાવી શકાય. આ ઉપરાંત, ઈલેક્ટ્રિક વાહનોના વપરાશથી વાયુ પ્રદૂષણમાં પણ મોટો ઘટાડો લાવી શકાશે અને પર્યાવરણ પર થતી વિપરીત અસરોને નિયંત્રિત કરવાના પ્રયાસોને વેગ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશહિતમાં જે અનેક સંકલ્પો કરવા કહ્યું છે, તે તમામ સંકલ્પો અત્યંત પ્રસ્તુત અને અનુકરણીય છે. ધારાસભ્ય EV અને જાહેર પરિવહન તરફ વળ્યા
વડાપ્રધાને જણાવેલા અલગ-અલગ સંકલ્પો ખરેખર કરવા જેવા છે. જે વ્યક્તિ જે બાબતમાં અને જે સ્તરે પહોંચી શકે, તે મુજબના સંકલ્પો દરેક લોકોએ રાષ્ટ્રહિતમાં કરવા જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, "આજે હું પૂરા નિશ્ચય સાથે આ સંકલ્પ જાહેર કરું છું કે હું હવેથી પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોનો ઉપયોગ બને ત્યાં સુધી કરીશ નહીં અને તેના વિકલ્પ તરીકે માત્ર ઈલેક્ટ્રિક વાહનો અને જાહેર જનતા માટે ઉપલબ્ધ પરિવહન સેવાઓનો જ ઉપયોગ કરીશ.
Read Original Article →