દિવ્ય સાવલાણી સામે ખંડણી બાદ વ્યાજખોરીની ફરિયાદ:'ટાંટીયા ભંગાવી નાખીશ', જૂનાગઢમાં વ્યાજવટાવનો કાળો કારોબાર, ડ્રાઈવર પાસે બે કોરા ચેક લખાવી લીધા

Gujarat4/7/2026, 11:56:06 AM
દિવ્ય સાવલાણી સામે ખંડણી બાદ વ્યાજખોરીની ફરિયાદ:'ટાંટીયા ભંગાવી નાખીશ', જૂનાગઢમાં વ્યાજવટાવનો કાળો કારોબાર, ડ્રાઈવર પાસે બે કોરા ચેક લખાવી લીધા
કીર્તિ પટેલ સાથે થોડા સમય પહેલા વિવાદમાં આવેલી જૂનાગઢની દિવ્યા સાવલાણી સામે હવે વ્યાજખોરીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. શહેરના જોષીપરા વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા એક મજબૂર શખ્સને વ્યાજના વિષચક્રમાં ફસાવી હોસ્પિટલના કામ માટે રાખેલા પૈસા પણ પડાવી લેતા પોલીસે દિવ્યાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 10 ટકા વ્યાજે પૈસા આપી બે કોરા ચેક લઈ લીધા જોષીપરાના નંદનવન રોડ પર રહેતા અશરફભાઈ અનવરભાઈ બ્લોચને ફેબ્રુઆરી 2024માં રૂપિયા 30,000ની જરૂરિયાત ઊભી થઈ હતી. આથી તેમણે જોષીપરામાં રહેતી અને મોતીબાગ પાસે ઓફિસ ધરાવતી દિવ્યા કિશોરભાઈ સાવલાણીનો સંપર્ક કર્યો હતો. દિવ્યાએ પોતાની પાસે વ્યાજવટાવનું લાયસન્સ હોવાનું જણાવી રૂપિયા 30,000 આપ્યા હતા, પરંતુ લાયસન્સની શરતો બાજુ પર મૂકી દર મહિને 10% વ્યાજની માંગણી કરી હતી. આટલું જ નહીં, તેણે એડવાન્સ વ્યાજ પેટે રૂ. 6,000 કાપીને અશરફભાઈને માત્ર રૂ. 24,000 રોકડા આપ્યા હતા અને ગેરંટી પેટે બે સહી કરેલા કોરા ચેક પણ લખાવી લીધા હતા. પૈસા પરત ન કરતા ફરિયાદીના ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી ​ફરિયાદી અશરફભાઈએ શરૂઆતમાં દર ગુરુવારે રૂ. 2,000ના હપ્તા નિયમિત ચૂકવ્યા હતા. જોકે, ધંધામાં મંદી આવતા જ્યારે તેઓ હપ્તો ભરી શક્યા નહીં, ત્યારે દિવ્યા સાવલાણીએ અસલી રૂપ બતાવ્યું હતું. દિવ્યાએ અશરફભાઈને પોતાની ઓફિસે બોલાવીને ધમકી આપી હતી કે, "તું મને ઓળખતો નથી, મારી ઓફિસની નીચે જ મારા માણસો બેઠા છે, તારા ટાંટીયા ભંગાવી નાખીશ અને જાનથી મરાવી નાખીશ." ડરી ગયેલા અશરફભાઈ પાસે તે સમયે દવા લેવા માટે રાખેલા રૂ. 6,000 હતા, જે દિવ્યાએ બળજબરીથી પડાવી લીધા હતા. એક મહિના પહેલા દિવ્યા સામે ખંડણીનો ગુનો નોંધાયો હતો ​આ મામલે ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે અશરફભાઈની ફરિયાદના આધારે આરોપી મહિલા દિવ્યા સાવલાણીની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે આ મહિલા વિરુદ્ધ એક મહિના પહેલા પણ ખંડણી માંગવાનો ગુનો નોંધાયો હતો. તેની પાસે વ્યાજવટાવનું લાયસન્સ હોવાના દાવાની પણ પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. જાહેર જનતાને અપીલ કરી છે કે કોઈપણ વ્યક્તિ વ્યાજખોરોના ત્રાસથી ડરે નહીં અને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે જેથી આવા તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરી શકાય.
Read Original Article →