જે ડોક્ટરે હોસ્પિટલ છોડી તેના નામે 76 ઓપરેશન થયા:સર્જરી કરવા માન્ય નથી તે તબીબે જીવ જોખમમાં મૂક્યા, એક દિવસમાં 3થી વધુ ઘૂંટણ બદલતા; જૂનાગઢની કે.જે. હોસ્પિટલનો ‘કાંડ’
જૂનાગઢની કે.જે. હોસ્પિટલમાં એક 'કાંડ' સામે આવ્યો છે, જ્યાં સર્જરી કરવા માટે બિનઅનુભવી અને અમાન્ય તબીબે દર્દીઓના જીવ જોખમમાં મૂક્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે જે ડોક્ટરે હોસ્પિટલ છોડી દીધી હતી, તેમના નામે જ રેકોર્ડ પર 76 જેટલા ઓપરેશનો દર્શાવી દેવામાં આવ્યા હતા. આ હોસ્પિટલમાં નિયમોને નેવે મૂકીને એક જ દિવસમાં 3થી વધુ ઘૂંટણ બદલવાની (ની-રિપ્લેસમેન્ટ) સર્જરી પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢ પ્રાઈવેટ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પર તંત્રએ કાર્યવાહી કરી છે. આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગના અધિક નિયામક ડૉ. હિતેશ બ્રહ્મભટ્ટે જૂનાગઢની જાણીતી કે. જે. હોસ્પિટલને મોટો આદેશ આપ્યો છે. સરકારની PMJAY-MA યોજના અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને વાર્ષિક રૂ. 10 લાખ સુધીની કેશલેસ સારવાર આપવામાં આવે છે. આ સરકારી યોજના હેઠળ જોડાવા માટેના નિયમો અને લાયકાતના લઘુત્તમ માપદંદોનું ઉલ્લંઘન કરવા બદલ સરકાર દ્વારા આ કડક કાનૂની પગલાં લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલના ડાયરેક્ટરને દંડ અને શો-કોઝ નોટિસ
બજાજ ઇન્સ્યોરન્સ TPA સર્વિસિસ પ્રા.લિ. દ્વારા તાજેતરમાં કે.જે. હોસ્પિટલનું ઓડિટ કરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન હોસ્પિટલમાં ગંભીર પ્રકારની ગેરરીતિઓ થતી હોવાનું વિગતો સાથે બહાર આવ્યું હતું, જે બાબતને હોસ્પિટલ સત્તાવાળાઓએ પણ સત્તાવાર રોજકામમાં સ્વીકારી લીધી છે. આ તપાસ અહેવાલ અને એક્ઝીક્યુટીવ કમિટીની બેઠકની મિનિટ્સના આધારે સક્ષમ કમિશ્નરની મંજૂરી મેળવીને હોસ્પિટલના ડાયરેક્ટરને દંડ અને શો-કોઝ નોટિસ પાઠવવામાં આવી છે. જે ડોક્ટરે હોસ્પિટલ છોડી મૂક્યું તેના નામે 76 ઓપરેશન થયા
ઓડિટ દરમિયાન એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે, હોસ્પિટલ સાથે ડિસેમ્બર 2024 સુધી જ સંકળાયેલા ડૉ. શ્રીનિવાસ કુમારનના નામે તે સમયગાળા પછી પણ છેક ઓક્ટોબર 2025 સુધીમાં કુલ 76 ઓપરેશનો પોર્ટલ પર દર્શાવવામાં આવ્યા હતાં. હોસ્પિટલે આ અંગે એવો ખુલાસો કર્યો હતો કે આ તમામ સર્જરી ડૉ. એસ. દિનેશ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ ડૉ. એસ. દિનેશ પાસે તે સમયે જરૂરી જીએમસી કે એનએમસીનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ નહોતું અને તેઓ સરકારી પોર્ટલ પર પણ માન્ય ન હોવાથી કોઈપણ સર્જરી કરવા માટે કાયદેસર રીતે અધિકૃત નહોતા. એક જ દિવસની અંદર 3 કરતાં વધુ ઘૂંટણ બદલવાના ઓપરેશન
ગેરરીતિના બીજા કિસ્સામાં ઓનલાઇન ટીએમએસ રેકોર્ડની તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, હોસ્પિટલમાં એક જ દિવસની અંદર 3 કરતાં વધુ વખત ઘૂંટણ બદલવાના ઓપરેશન એટલે કે ટ્રીપલ ની રિપ્લેસમેન્ટ (TKR) સર્જરી કરવામાં આવી હતી. આ તમામ ઓપરેશન થિયેટરની નોટ્સ અને સરકારી ઓનલાઇન પોર્ટલના રેકોર્ડમાં ડૉ. નૈતિક છત્રાલાના નામ અને તેમની સહી તેમજ સિક્કાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ રેકોર્ડ પર સાબિત થયું હતું. કે.જે. હોસ્પિટલને ગેરરીતિ બદલ રૂ. 12.50 લાખનો દંડ
આરોગ્ય વિભાગના નિયમ અનુસાર કોઈપણ એક ઓર્થોપેડિક સર્જન એક દિવસમાં 3થી વધુ ઘૂંટણના રિપ્લેસમેન્ટના ઓપરેશન કરી શકે નહીં, જેથી આવી ઘટના ભવિષ્યમાં ન બને તે માટે હોસ્પિટલને કારણ દર્શક નોટીસ અપાઇ છે. આ સાથે જ અનધિકૃત ડૉક્ટર દ્વારા કરવામાં આવેલા 76 કેસોની કુલ રકમ રૂ. 1,25,04,875/- કરોડના 10 ટકા લેખે રૂ. 12,50,487/- ની પેનલ્ટી ફટકારવામાં આવી છે, જે રકમ 7 દિવસમાં યોજનાના સત્તાવાર બેંક ઓફ બરોડાના સ્ટેટ નોડલ સેલના ખાતામાં જમા કરાવવાનો કડક આદેશ કરાયો છે. 'હોસ્પિટલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કે ડી-એમ્પેનલ્ડ કરી દેવામાં આવશે'
સરકારે વધુમાં જણાવ્યું છે કે, હોસ્પિટલે સત્તાવાર સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરીને આપવું પડશે કે જો ભવિષ્યમાં ફરી ક્યારેય યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થશે તો સરકાર દ્વારા હોસ્પિટલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કે ડી-એમ્પેનલ્ડ કરી દેવામાં આવશે. ભવિષ્યમાં દર્દીઓને કોઈ અગવડ ન પડે અને યોજનાનો લાભ સુવ્યવસ્થિત મળે તે માટે આ પત્રની નકલો જૂનાગઢના મ્યુનિસિપલ કમિશ્નર, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, ક્વોલીટી મેડિકલ ઓફિસર અને સંબંધિત ઇન્સ્યોરન્સ કંપનીઓની ટીમોને આગળની તકેદારી અને કડક અમલીકરણ માટે રવાના કરી દેવામાં આવી છે.
Read Original Article →