જૂનાગઢમાં કેસર કેરી પર કુદરતની વક્રદૃષ્ટિ:જૂનાગઢના ગઢ ગણાતા આંબાવાડિયામાં કેરીના પાકને વ્યાપક નુકસાન; અચાનક બદલાયેલા વાતાવરણથી ‘કેસર’ની ગુણવત્તા બગડી, ખેડૂતો આર્થિક પાયમાલીના આરે.
જૂનાગઢ જિલ્લો જે સમગ્ર વિશ્વમાં પોતાની સ્વાદિષ્ટ કેસર કેરી માટે વિખ્યાત છે, ત્યાં અત્યારે કુદરતની વક્રદૃષ્ટિ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં આવેલા અચાનક પલટા, વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. પવનની તેજ ગતિને કારણે આંબા પરથી નાની કેરીઓ મોટા પ્રમાણમાં ખરી પડી છે, જેનાથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ વર્ષે સીઝનની શરૂઆતમાં કેરીનો મબલખ પાક જોઈને અનેક નાના વેપારીઓ અને ખેડૂતોએ ઉંચા વ્યાજે નાણાં લઈને લાખો રૂપિયાના ઇજારા રાખ્યા હતા. ગત વર્ષના વાવાઝોડાના નુકસાનની ભરપાઈ આ વર્ષે થશે તેવી આશા હતી, પરંતુ અત્યારે સ્થિતિ ઉલટી થઈ ગઈ છે. વારંવાર બદલાતા તાપમાન અને માવઠાને લીધે પાક અડધો થઈ ગયો છે. પવનથી કેરી ખરવાની સાથે જે કેરી હાર્વેસ્ટિંગ માટે તૈયાર છે, તેના પર વરસાદી પાણી પડવાથી કાળા ડાઘ પડી રહ્યા છે. આ ડાઘા પાકતી વખતે આખી કેરીને બગાડી નાખે છે, પરિણામે બજારમાં જોઈએ તેવા ભાવ મળતા નથી. કૃષિ નિષ્ણાતોની મતે વર્તમાન સ્થિતિ
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત નિષ્ણાત ડી.કે. વરુના જણાવ્યા અનુસાર, અત્યારે કેરીનો પાક અત્યંત સંવેદનશીલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આંબા પર અત્યારે સોપારી જેવડી નાની કેરીઓથી લઈને હાર્વેસ્ટિંગ માટે તૈયાર મોટી કેરીઓ એમ જુદા જુદા સ્ટેજ જોવા મળે છે. કેરીની પ્રકૃતિ મુજબ વાદળછાયું વાતાવરણ અને દિવસ-રાત્રિના તાપમાનનો મોટો તફાવત આ પાક માટે બિલકુલ અનુકૂળ નથી. ખાસ કરીને સાયક્લોન જેવી પવનની સ્થિતિ અને કરા સાથેનું માવઠું ફળની ગુણવત્તા અને ઉત્પાદન બંનેને માઠી અસર પહોંચાડે છે. ખેડૂતો માટે સાવચેતી અને ઉપાયો
કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ખેડૂતોને આ નુકસાન ઘટાડવા માટે તાકીદની સલાહ આપી છે. જો માવઠા બાદ કેરી પર કાળા ડાઘ દેખાય, તો તેને રોકવા માટે બાવિસ્ટિન અથવા સાફ પાવડર જેવા ફૂગનાશકનો છંટકાવ કરવો અનિવાર્ય છે. વાતાવરણમાં વધેલા ભેજને કારણે 'એન્થ્રેકનોઝ' અને 'સૂટી મોલ્ડ' જેવી ફૂગ લાગવાની શક્યતા વધી જાય છે. આ ઉપરાંત, મશરી અને ચુસિયા જીવાતથી પાકને બચાવવા માટે ઇમિડાક્લોપ્રિડ જેવી દવાઓનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે. જે વિસ્તારોમાં નાની કેરીઓનું ખરણ (ડ્રોપિંગ) વધુ થતું હોય, ત્યાં તેને અટકાવવા માટે ખાસ મિશ્રણનો ઉપયોગ કરી શકાય છે. નિષ્ણાતોના મતે, 100 લીટર પાણીમાં 50 ml પ્લાનોફિક્સ દવા અને 2 કિલો યુરિયા ભેળવીને તેના એક કે બે છંટકાવ કરવા જોઈએ. આ ઉપાય કરવાથી ફળની પકડ મજબૂત બને છે અને કુદરતી રીતે પડતી કેરીનું પ્રમાણ ઘટાડી શકાય છે.હાલ તો જૂનાગઢના ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે કે હવે વાતાવરણ સ્થિર થાય, નહીંતર કેસરના ગઢમાં આ વર્ષે મીઠાશ ઓછી અને આર્થિક કડવાશ વધુ જોવા મળે તેવી શક્યતા છે. ખેડૂતોની માગ છે કે સરકાર આ નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય વળતરની દિશામાં વિચારે.
Read Original Article →