યુવતીઓના સેલ્ફ ડિફેન્સ માટે પ્રવીણ તોગડીયાએ ડિવાઈસ લોન્ચ કર્યું:બેગમાં રાખી શકાશે, સ્વીચ દબાવતા જ કરંટ પેદા થશે, જૂનાગઢમાં શૌર્ય પ્રશિક્ષણ વર્ગ યોજાયો
જૂનાગઢ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સાંપ્રત પરિસ્થિતિમાં યુવાનો અને યુવતીઓમાં રાષ્ટ્રપ્રેમ, હિન્દુત્વ, દેશભક્તિ અને સમાજ સેવાનો ભાવ જાગ્રત થાય તેવા ઉમદા આશય સાથે આ વિશેષ વર્ગ યોજાયો હતો. આ તાલીમ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના યુવાધનને શારીરિક, માનસિક તેમજ બૌદ્ધિક રીતે સક્ષમ અને શક્તિશાળી બનાવવાનો છે. પાંચ દિવસ સુધી ચાલેલા આ પ્રશિક્ષણ વર્ગમાં સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં યુવકો અને પ્રશિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓની સુરક્ષાને સેલ્ફ ડિફેન્સ ડિવાઈસ
આ કાર્યક્રમના ભાગરૂપે આયોજિત વિશેષ સંગોષ્ટી કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. પ્રવિણ તોગડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યક્રમ દરમિયાન મહિલાઓની સુરક્ષાને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને આધુનિક સેલ્ફ ડિફેન્સ ડિવાઇસ દેશ સમક્ષ મૂક્યું હતું. આજના સમયમાં ખાસ કરીને આવારા અને અસામાજિક તત્વોથી બહેન-દીકરીઓનું રક્ષણ કરવા માટે આ ખાસ ડિવાઇસ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી અને તેનું પ્રાયોગિક નિદર્શન પણ કરાયું હતું. યુવતીઓને જુડો, કરાટેની તાલીમ આપવામાં આવી
ડૉ. પ્રવિણ તોગડિયાએ જણાવ્યું હતું કે, આજે જૂનાગઢ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની ધરતી પર રાષ્ટ્રીય બજરંગ દળ અને બહેનોની રાષ્ટ્રીય મહિલા પરિષદ 'ઓજસ્વિની'નો પાંચ દિવસનો વિશેષ તાલીમ વર્ગ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. આ વર્ગમાં યુવાનો અને યુવતીઓને જુડો, કરાટે, આસન, એર ગન દ્વારા લક્ષ્ય ભેદ એટલે કે નિશાનબાજી, તીરંદાજી અને વિવિધ રમત-ગમતની તાલીમ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત સૌથી મહત્વની બાબત એ છે કે તેમને આત્મરક્ષા એટલે કે સેલ્ફ પ્રોટેક્શનની વિશેષ શિક્ષા આપવામાં આવી રહી છે. દેશવ્યાપી અભિયાન વ્યાપક સ્તરે શરૂ કરાશે
ડૉ. તોગડિયાએ વધુમાં કહ્યું કે રાષ્ટ્રીય બજરંગ દળના યુવાનોનો મુખ્ય સંકલ્પ 'વીર હિન્દુ, વિજેતા હિન્દુ' બનવાનો છે. આ સંકલ્પને સાકાર કરવા માટે આગામી દિવસોમાં રાષ્ટ્રીય બજરંગ દળ દેશની તમામ શાળા અને કોલેજોમાં જઈને લાખો-કરોડો યુવાનોને વ્યવહારિક રીતે સેલ્ફ પ્રોટેક્શનની તાલીમ આપશે. આ અભિયાન અંતર્ગત દરેક યુવાન દરરોજ વ્યાયામ કરે, પોતાના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખે, ત્રિશૂલ ધારણ કરે અને વિજયાદશમીના પવિત્ર દિવસે પોતાના ઘરોમાં શસ્ત્ર પૂજન કરે તેવું આહવાન કરવામાં આવ્યું છે. આ દેશવ્યાપી અભિયાન આગામી એક મહિનામાં ભારતના તમામ રાજ્યોમાં વ્યાપક સ્તરે શરૂ કરવામાં આવશે. 'ઓજસ્વિની હિંમત વાયર' નામનું આ ડિવાઈસ
તેમણે પોતાના એક વિશેષ સાધન દર્શાવતા પત્રકારોને જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય મહિલા પરિષદ 'ઓજસ્વિની' દ્વારા યુવતીઓ અને મહિલાઓને આત્મરક્ષાની અદભુત ટ્રેનિંગ અપાઈ રહી છે. જો આપણી બહેન-દીકરીઓ જુડો કે કરાટે નથી જાણતી, તો પણ આ સાધનની મદદથી પોતાની રક્ષા કરી શકશે. જો કોઈ અસામાજિક તત્વ તેમના પર હાથ ઉપાડે કે પકડવાનો પ્રયાસ કરે, તો આ ડિવાઇસથી બહેનો તેની સામે વિજય મેળવી શકશે. 'ઓજસ્વિની હિંમત વાયર' નામનું આ ડિવાઈસ મહિલાઓ સરળતાથી પોતાના પર્સમાં રાખી શકશે. આ ડિવાઇસ સંપૂર્ણપણે રીચાર્જેબલ છે, જે મોબાઈલની જેમ જ ચાર્જ થાય છે અને તેની કિંમત માત્ર 800 રૂપિયા રાખવામાં આવી છે.
'ડિવાઈસથી ઇલેક્ટ્રિક ઝટકો એટલે કે કરંટ લાગશે'
ડૉ. તોગડિયાએ ઓજસ્વિની હિંમત વાયર' નામના વિશેષ ડિવાઇસની વિશેષતા સમજાવતા કહ્યું હતું કે, પર્સમાંથી આ ડિવાઇસ કાઢીને બટન દબાવતાની સાથે જ તેમાંથી ઇલેક્ટ્રિક ઝટકો એટલે કે કરંટ ઉત્પન્ન થાય છે. આ ડિવાઇસ સળંગ એક કલાક સુધી કાર્યરત રહી શકે છે અને તેને ચારેય તરફ ફેરવવાથી જે પણ વ્યક્તિ તેને અડશે તેને જોરદાર કરંટ લાગશે. રાત્રિના સમયે જો કોઈ બહેન-દીકરી એકલી નીકળી હોય અને તેને અસામાજિક તત્વો ઘેરી લે, તો આ ડિવાઇસ ફેરવવાથી કોઈ તેની નજીક આવવાની હિંમત નહીં કરે. લવ જેહાદ અને મહિલાઓ પર થતા અત્યાચારો સામે માત્ર વાતો કરવાને બદલે આ સંસ્થા પ્રાયોગિક ધોરણે બચાવનું ભગીરથ કામ કરી રહી છે. 'મહિલાઓની આત્મરક્ષા માટે જરૂરી છે ડિવાઈસ'
રાષ્ટ્રીય મહિલા પરિષદ અને 'ઓજસ્વિની' રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ રજની ઠુકરાલે જણાવ્યું હતું કે, મહિલાઓની આત્મરક્ષા માટે જરૂરી છે તે તમામનું જ્ઞાન અહીં પૂરું પાડવામાં આવે છે. ઘણીવાર રાત્રિના સમયે અથવા એકાંતમાં બહેનો એકલી જતી હોય ત્યારે ત્રણ-ચાર અસામાજિક તત્વો તેમને ઘેરી લે છે, જેના કારણે બહેનો ગભરાઈ જતી હોય છે. પરંતુ જો આ ઇન્સ્ટ્રુમેન્ટ તેમના પર્સમાં હશે, તો તેઓ ગમે તેવા શક્તિશાળી પુરુષને પણ પરાસ્ત કરી શકશે. આ ડિવાઇસ દ્વારા ઉત્પન્ન થતો કરંટ સામેવાળાને ધ્વસ્ત કરીને પાડી દે છે, જેથી બહેનો સહી-સલામત રીતે ત્યાંથી નીકળી શકે. અમારો લક્ષ્ય આ તાલીમને દેશભરની તમામ શાળાઓ અને કોલેજો સુધી પહોંચાડીને દીકરીઓને સ્વનિર્ભર બનાવવાનો છે.
Read Original Article →