ચાંદની હત્યાકાંડનો આરોપી મુંબઈથી ઝડપાયો:ઓપરેશન કારાવાસ-2 હેઠળ 16 મહિનાથી પેરોલ પર ફરાર મોહન ગોહિલની ધરપકડ, દોલતપરામાંથી લાખોનો વિદેશી દારૂ જપ્ત
ગુજરાત રાજ્યના પોલીસના ઉચ્ચ અધિકારીઓ તરફથી સમગ્ર રાજ્યમાં નાસતા-ફરતા કેદીઓને પકડવા માટે ઓપરેશન કારાવાસ-2 ડ્રાઇવ રાખવામાં આવેલ છે. આ ડ્રાઇવ અંતર્ગત તેમજ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે ડામી દેવાની ઉપરી અધિકારીઓની કડક સૂચના અન્વયે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સોર્સના માધ્યમથી સક્રિય રીતે કાર્યરત હતી. આ સંયુક્ત તપાસ અને પેટ્રોલીંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે બે અલગ-અલગ મોટા ઓપરેશનો પાર પાડીને એક તરફ સોળ માસથી ફરાર અતિ રીઢા ગુનેગારને પકડી પાડ્યો છે, જ્યારે બીજી તરફ રહેણાંક મકાન પર દરોડો પાડીને મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં મોટી સફળતા મેળવી છે. આરોપી મુંબઈમાં વેશપલટો કરીને રહેતો હતો
સ્ક્વોડના એએસઆઈ ઉમેશભાઈ વેગડાને ચોક્કસ બાતમી મળી હતી કે પાંચ મર્ડર અને બે બળાત્કારના ગુનામાં ત્રીસ વર્ષની સજા પામેલો અને છેલ્લા સોળ માસથી પેરોલ જમ્પ કરીને નાસતો ફરતો રીઢો ગુનેગાર મોહન હમીર ગોહિલ સુરત તેમજ મહારાષ્ટ્રના મુંબઈ અને બોરીવલી રેલ્વે સ્ટેશન જેવા વિસ્તારોમાં વેશપલટો કરીને છુપાઈ રહ્યો છે. આ બાતમીના આધારે ઉમેશભાઈ વેગડા તાત્કાલિક મહારાષ્ટ્રના બોરીવલી પહોંચ્યા હતા અને ત્યાં સતત પાંચ દિવસ સુધી મજૂરનો વેશ ધારણ કરી ખાનગી રાહે વોચ ગોઠવી હતી. ચકચારી ચાંદની હત્યા કાંડનો આરોપી
આખરે સ્થાનિક પોલીસની મદદથી આ ખતરનાક આરોપીને ઝડપી પાડી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી મોહન હમીર ગોહિલ જૂનાગઢના બિલખા રોડ પર આવેલ રાજીવ નગર સોસાયટીનો રહેવાસી છે અને તેનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ગંભીર છે. તેણે વર્ષ 2007 માં જૂનાગઢના દાતાર પર્વત પર પ્રવાસી પરિવારની દીકરી અને તેની બહેનપણીને જંગલમાં ઢસડી જઈ બળાત્કાર ગુજારી હત્યા કરવાનો અતિ ચર્ચાસ્પદ "ચાંદની હત્યા કાંડ" આચરેલ હતો. આરોપીનો ગુનાહિત ઈતિહાસ
જેમાં વર્ષ 2011 માં કોર્ટે તેને સજા ફટકારી હતી. આ સિવાય તેના નામે વર્ષ 1992માં રમેશ રૂડાની હત્યા, વર્ષ 1994 માં નાનજી કુંભાની હત્યા, વર્ષ 1995 માં કેશોદમાં લૂંટના ઇરાદે ઘરમાં ઘૂસી નવીનભાઈની હત્યા તેમજ વર્ષ 2005 માં મુંઘીબેનની હત્યા સહિત કુલ પાંચ ખૂન બોલે છે. એટલું જ નહીં, વર્ષ 2009 માં ફરારી દરમિયાન રાજકોટના કુવાડવા વિસ્તારમાં એક મજૂરની દીકરી પર સામુહિક બળાત્કાર ગુજારવાનો ગુનો અને પ્રોહિબિશન ધારા હેઠળના અસંખ્ય ગુનાઓ પણ તેના વિરુદ્ધ નોંધાયેલા છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે દરોડો પાડ્યો
ક્રાઇમ બ્રાન્ચની ટીમને ખાનગી બાતમીદારો દ્વારા ચોક્કસ હકીકત મળી હતી કે પંચેશ્વર વિસ્તારનો લિસ્ટેડ બુટલેગર ભીખો ઉર્ફે ભુરો રૈયાભાઈ કરમટા બહારના રાજ્યમાંથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી દોલતપરા ગોપાલનગરમાં જયેશ ઉર્ફે ભુરો જીકાભાઈ ભારાઈના મકાનમાં સંગ્રહ કરી તેનું કટિંગ કરી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મકાનના રસોડાના પાછળના ભાગેથી પૂંઠાની પેટીઓ મળી આવી હતી. જે પેટીઓ ખોલીને જોતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડના પ્લાસ્ટિકના ચપટા નાની બોટલ નંગ 912 કિંમત રૂપિયા 1,68,720 નો મુદ્દામાલ મળી આવતા તેને કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ ગુનો નોંધી કરી મકાન માલિકની અટકાયત કરવામાં આવી છે, જ્યારે મુખ્ય બે આરોપીઓ જેમાં પંચેશ્વરનો ભીખો ઉર્ફે ભુરો રૈયાભાઈ કરમટા અને દોલતપરા ગોપાલનગરનો જયેશ ઉર્ફે ભુરો જીકાભાઈ ભારાઈ હાલ પકડવાના બાકી હોવાથી પોલીસે તેમને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →