જૂનાગઢના બિલ્ડર ચેતન ફળદુ વિરૂદ્ધ એટ્રોસિટીનો ગુનો:ઉપવાસ પર ઉતરેલા વાલીઓ વિશે ટિપ્પણી કરી હતી કે, આ લોકો પટેલ નહીં પરંતુ અન્ય જ્ઞાતિના છે
જૂનાગઢમાં થોડા સમય પહેલા પટેલ કેળવણી મંડળના ટ્રસ્ટીઓ અને વાલીઓ વચ્ચે ગંભીર વિવાદ સર્જાયો હતો. આ સમયગાળા દરમિયાન વાલીઓ પોતાની માંગણીઓને લઈ ટ્રસ્ટીઓના વિરોધમાં આંદોલન અને ઉપવાસ પર બેઠા હતા. આ વિવાદ જ્યારે ચરમસીમાએ હતો, ત્યારે મંડળના ટ્રસ્ટી કાંતિલાલ ફળદુના પુત્ર અને જાણીતા બિલ્ડર ચેતન ફળદુનો એક ઓડિયો-વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાઇરલ થયો હતો. આ ક્લિપમાં ચેતન ફળદુ અન્ય એક વ્યક્તિ સાથે ફોન પર વાતચીત કરી રહ્યા હતા. જ્યારે સામેવાળી વ્યક્તિએ આ મામલો વડીલો અને સમાજના આગેવાનોની મધ્યસ્થીથી સમાધાનકારી રસ્તે ઉકેલવાની સલાહ આપી ત્યારે ચેતન ફળદુ એકાએક ઉશ્કેરાઈ ગયા હતા. ‘આ લોકો પટેલ જ્ઞાતિના નથી પરંતુ અન્ય જ્ઞાતિના છે’
આ ઓડિયો-વીડિયોમાં ચેતન ફળદુએ નમ્રતાની તમામ મર્યાદાઓ ઓળંગીને ગાળોનો વરસાદ વરસાવ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં સમાધાનનો ઈનકાર કરતા કહ્યું હતું કે આ મામલે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવાનું થતું નથી." એટલું જ નહીં, તેમણે આંદોલન કરી રહેલા અને ઉપવાસ પર ઉતરેલા થાણાપીપળી ગામના વાલીઓ વિશે ટિપ્પણી કરતા તેમણે જણાવ્યું હતું કે આ લોકો પટેલ જ્ઞાતિના નથી પરંતુ અન્ય જ્ઞાતિના છે. આ વાતચીત દરમિયાન તેમણે અનુસૂચિત જાતિ માટે જે શબ્દોનો પ્રયોગ કર્યો હતો, તેનાથી સમગ્ર સમાજમાં ભારે રોષ અને આક્રોશની લાગણી ફેલાઈ હતી. વાણી-વિલાસના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા
ચેતન ફળદુ દ્વારા કરવામાં આવેલા આ જાતિસૂચક અપમાન અને વાંધાજનક વાણી વિલાસને પગલે અનુસૂચિત જાતિ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. આ મામલે કાયદાકીય લડત આપતા આખરે જૂનાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જૂનાગઢના બિલખા રોડ પર રહેતા અને અનુસૂચિત જાતિના જાગૃત નાગરિક સંજયભાઈ મૂળજીભાઈ પરમાર ફરિયાદી બન્યા હતા. તેમની ફરિયાદના આધારે ચેતન કાંતિલાલ ફળદુ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અનુસૂચિત જાતિને ધિક્કારતા શબ્દોથી લાગાણી દુભાઈ
આરોપી ચેતન ફળદુએ ફરિયાદીની જ્ઞાતિ વિરૂદ્ધ ગેરબંધારણીય અને અપમાનજનક શબ્દ પ્રયોગ કર્યો હતો. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી ઓડિયો ક્લિપમાં તેમણે અનુસૂચિત જાતિના લોકોને સમાજમાં ધિક્કારવાના અને જાતિ પ્રત્યે એકબીજામાં દુશ્મનાવટ ફેલાય તેવા હેતુથી ઉશ્કેરણીજનક શબ્દો બોલ્યા હોવાનું સામે આવ્યું હતું. આ ક્લિપ જાહેર થતા સામાજિક સૌહાર્દ જોખમાયું હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. હાલમાં આ કેસની તપાસ જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ અને એસ.સી./એસ.ટી. સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.સામાજિક ક્ષેત્રે અને બિલ્ડર લોબીમાં જાણીતા ચેતન ફળદુ વિરૂદ્ધ એટ્રોસિટીનો ગુન્હો નોંધાતા જૂનાગઢમાં ફરી એકવાર પટેલ કેળવણી મંડળનો વિવાદ અને તેના પરિણામો ચર્ચાની એરણે ચડ્યા છે..
Read Original Article →