ખડગેના નિવેદન સામે જૂનાગઢ ભાજપમાં રોષ પ્રતિક:ગુજરાતીઓને ‘મૂર્ખ’ કહેતા જૂનાગઢ ભાજપ આકરા પાણીએ: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન વિરુદ્ધ ભાજપે ધરણા યોજી માફીની માંગ કરી
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ વિશે કરવામાં આવેલી કથિત વિવાદાસ્પદ ટિપ્પણીને પગલે સમગ્ર રાજ્ય સહિત જૂનાગઢમાં પણ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કેરળની એક જાહેર સભા દરમિયાન ખડગેએ ગુજરાતી પ્રજા માટે જે શબ્દોનો પ્રયોગ કર્યો છે, તેને ભાજપે ગુજરાતની અસ્મિતા પર પ્રહાર ગણાવ્યો છે. આ અપમાનજનક નિવેદનનો સજ્જડ વિરોધ કરવા માટે જૂનાગઢ શહેર ભાજપ દ્વારા શહેરના મધ્યમાં આવેલા આઝાદ ચોક ખાતે એક દિવસીય અને ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયાએ આ વિરોધ પ્રદર્શન દરમિયાન આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાતીઓને "મૂર્ખ" અને "અબુધ" કહીને સંબોધ્યા છે, જે અત્યંત નિંદનીય અને આઘાતજનક બાબત છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ગુજરાત એ ધરતી છે જેણે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા યુગપુરુષો દેશને આપ્યા છે. જેમણે આઝાદીની લડતમાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું હોય તેવા મહાપુરુષોની ભૂમિના લોકોને આવા શબ્દો કહેવા એ કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે. વધુમાં ગૌરવ રૂપારેલિયાએ ઉમેર્યું હતું કે, વર્ષ 2014 થી દેશ જેમના નેતૃત્વમાં પ્રગતિ કરી રહ્યો છે તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતના જ સપૂતો છે. કોંગ્રેસ વારંવાર ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કરીને પોતાની હતાશા વ્યક્ત કરી રહી છે, પરંતુ ગુજરાતની જનતા આ અપમાન ક્યારેય સહન કરશે નહીં. ભાજપની સ્પષ્ટ માંગ છે કે મલ્લિકાર્જુન ખડગે જાહેરમાં પોતાના નિવેદન બદલ માફી માંગે અને પોતે કરેલી ભૂલનો સ્વીકાર કરે. આઝાદ ચોક ખાતે યોજાયેલા આ વિરોધ કાર્યક્રમમાં જૂનાગઢ મહાનગરપાલિકાની સમગ્ર ટીમ અને સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જેમાં શહેરના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહીને કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઉપરાંત ભાજપના તમામ કોર્પોરેટરો, વિવિધ વોર્ડના પ્રમુખો અને વિવિધ મોરચાના કાર્યકર્તાઓએ પણ ધરણામાં જોડાઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી કોંગ્રેસના નેતાઓ ગુજરાતીઓની માફી નહીં માંગે ત્યાં સુધી આ વિરોધના સૂર શાંત પડશે નહીં. આ પ્રતિક ઉપવાસ દ્વારા ભાજપે સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે ગુજરાતની અસ્મિતા અને ગૌરવ સાથે છેડા કરનારને જનતા ક્યારેય માફ કરશે નહીં. આ કાર્યક્રમને પગલે આઝાદ ચોક વિસ્તારમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોની હાજરીને કારણે વાતાવરણ રાજકીય રીતે ગરમાયું હતું.
Read Original Article →